New Delhi,તા.02
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં સાત મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટે ખેડૂતો માટેની સાત યોજનાઓને મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે સોમવારે સાત મોટા નિર્ણય લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવાયા છે, જે માટે લગભગ 14000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
2817 કરોડના રોકાણમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ઉભું કરાશે
વૈષ્ણવે કહ્યું કે, ખેડૂતોના હિતમાં લેવાયેલો પ્રથમ નિર્ણય ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે. આ મિશન કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેનું છે. આ માટે 2817 કરોડનું રોકાણ કરીને ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ઉભું કરાશે.
કેન્દ્રીય કેબિનેટના સાત મોટા નિર્ણય
- ડિજિટલ કૃષિ મિશન માટે રૂપિયા 2817 કરોડને મંજૂર આપી
- ખોરાક, પોષણના પાક વિજ્ઞાન માટે 3979 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી
- કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા રૂ.2291 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી
- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂપિયા 1702 કરોડની યોજનાને મંજૂરી આપી
- બાગાયત વિકાસ માટે રૂપિયા 860 કરોડની ફાળવણીની મંજૂરી
- કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી
- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા 1115 કરોડની યોજનાને પણ મંજૂરી