Morbi, તા.24
કૃષિપ્રધાન દેશ ભારતમાં ખેતી અને ખેત પદ્ધતિના મૂળ ઋગ્વેદ અને અથર્વવેદથી માંડીને પુરાણો સુધી, કૃષિ-પારાશરથી માંડીને કાશ્યપિય કૃષિ સુક્ત જેવા પ્રાચીન ગ્રંથો સુધી વિસ્તરેલા છે. વિશ્ર્વની સૌથી પુરાતન સભ્યતાઓ પૈકીની સિંધુ ઘાટીની સભ્યતામાં મળેલા ખેતીવાડીના અવશેષોથી લઈ વિશ્વની સૌ પ્રથમ ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી સુધી ભારત સંતુલિત કૃષિવિકાસનું પથદર્શક બની રહ્યું છે.
ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં પરિણામલક્ષી પ્રયાસો થઈ રહ્યા છે. સાથેસાથે કૃષિકારોને પ્રોત્સાહનરૂપે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ દેશી ગાય આધારિત ખેતી છે. બીજામૃત અને ઘનામૃત જેવા ઘટકોમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ પાયાની બાબત છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દરેક ખેડૂતને વાર્ષિક રૂ. 10,800ની સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટે ગૌસંવર્ધનને પણ આ યોજના થકી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ યોજના અંતર્ગત અંદાજપત્રમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
દેશી ગાય ન હોય અથવા ન રાખી શકે તેવા ખેડૂતો પણ અસરકારક રીતે પ્રાકૃતિક ખેતી કરી શકે, તે માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય યોજના શરૂ કરીને વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પણ ખાસ જોગવાઈ કરી છે. જેમાં ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ અને ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સને આ માળખાકીય સુવિધા ઉભી કરવા તથા સખી મંડળો અને ખેડૂત ગ્રૂપોને પણ આર્થિક સહાય આપવામાં આવનાર છે.
આમ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરવામાં આવ્યું છે. અસરદાર આયોજનની સાથેસાથે માત્ર જાણકારી કે માર્ગદર્શન જ નહીં પરંતુ વિસ્તૃત તાલીમો, આર્થિક અને તકનીકી સહાય, વેચાણ વ્યવસ્થાઓ સહિતની આખી ઇકોસિસ્ટિમ તૈયાર થઈ છે. જે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને વધુને વધુ કૃષકોને તેનો લાભ પહોંચાડવા સક્ષમ બની રહી છે.