Morbi તા.10
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સિટીના પાછળના ભાગે ઉમિયાનગર વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામ ખાતે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા થાનાના મિયારી ગામનો વતની પપ્પુભાઈ બહાદુરભાઈ ભુરીયા નામનો 31 વર્ષનો યુવાન ગત તા.24-12 ના રોજ ઉમિયાનગર વિસ્તારમાં છત ભરવાનું કામકાજ કરી રહ્યો હતો.
ત્યારે કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી ઇજા પામતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગત તા.29-12 ના રોજ તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને અંતિમવિધિ માટે તેના વતન મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવ્યુ હતુ.ત્યાં પીએમ કરવામાં આવ્યું હતું.
જેથી ત્યાં થયેલ પોલીસ તપાસના કાગળ હાલ મોરબી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને આ બાબતે આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અમુભાઈ નરસંગભાઇ બાલાસરા નામના 60 વર્ષના વૃદ્ધને આજે તા.10-1 ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના આરસામાં તેઓના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં મૃત જાહેર કરાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ વેજીટેબલ રોડ ઉપર વાડી વિસ્તારમાં રહેતા નાનુંબેન મોહનભાઈ દેગામા નામના 59 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.
ત્યારે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં નીચે પટકાતા નાનુબેન દેગામાને ઇજાઓ પહોંચી હતી અને તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા