રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
Rajkot તા.૧૩
અમદાવાદમાં ગતરોજ ૧૨ જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આજે રાજકોટની ૬૦૦થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. આજે પીએમ મોદી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી તથા તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી.
વિજય રૂપાણી જ્યારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે જ ટેકઓફ વખતે આ ગોઝારી ઘટના બની હતી. આ દુર્ઘટના સમયે અંજલિબેન રૂપાણી તેમની દીકરીના ઘરે લંડન હતાં. આ ઘટના બાદ તેઓ લંડનથી અમદાવાદ આવ્યાં છે. આજે તેઓ પરિવાર સાથે પીએમ મોદીને મળ્યાં હતાં.
પીએમ મોદી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ વધુમાં એક્સ પર લખ્યું છે કે, વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણાં પગલાં હાથ ધર્યાં હતાં જેમાં ’ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના… ૐ શાંતિ