Jamnagarતા. 26
જામનગર શહેર માં રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા ના કાયમી નિરાકરણ માટે જામનગર મહાનગરપાલિકા એ કડક કાર્યવાહી કરવાનો દ્રઢ નિર્ણય કર્યો છે, અને તે દિશામાં સમગ્ર શહેરમાં ઢોરમાલિકો તથા ઘાસચારો જાહેરમાં વેંચાણ કરનારા સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકા ના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ મુકેશ વરણવા અને કટેશિયાભાઈ એ કેટલ પોલિસી અંગે અને આ પોલિસી અંતર્ગત અમલવારી અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએમસી શ્રી ઝાલા એ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઢોરમાલિકો ની મનમાનીનો કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાશે નહીં. જામનગરના લોકોને રખડતા ઢોર ત્રાસરૂપ બની રહ્યા છે. લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે. મૃત્યુ પણ થયા છે. વાહનોને નુક્સાન થઈ રહ્યું છે. રોગચાળો ફેલાય છે. હવે બહું થયું… આ સ્થિતિ હવે નહીં ચલાવી લેવાય.
કેટલ પોલિસી ર૦ર૪ માં જાહેર થઈ અને તેને એક વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં જામનગરના એકપણ ઢોરમાલિકો ઢોર રાખવા અને પરમીટ કે લાયસન્સ મેળવવા અરજી સુદ્ધા કરવાની દરકાર કરી નથી. તેઓ એમ માની રહ્યા છે કે અમારૃં તંત્ર શું બગાડી લેશે ? આવી જ સ્થિતિ જામનગરમાં જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરનારાની છે. આ વેંચાણકર્તાઓમાંથી પણ એકપણ શખ્સે અરજી કરી નથીે તેનો સીધો મતલબ છે કે તેઓને તંત્રનો ડર નથી અને નગરજનોના જાનમાલની ચિંતા નથી
કેટલ પોલિસીનો કડક અમલ કરવા મનપાના ગત્ બોર્ડમાં ઠરાવ થયો છે. મનપા દ્વારા ઢોરમાલિકોને ચાર મહિનાનો સમય ર૦૨૪ માં આપવામાં આવ્યો હતો. મનપા તંત્રએ દરેક ઢોરને અંદાજે રૂ. એક હજાર ની ટેગ વિનામૂલ્યે ફીટ કરી આપવાની જાહેરાત પણ કરી હતી. તેમ છતાં કોઈએ તેમાં સહકાર આપ્યો ન હતો.
હાલમાં દરેક ઢોરમાલિકને અને ઘાસના વેંચાણ માટે લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા, ઢોરને ટેગ લગાડવાની સૂચના આપવામાં આવી છે. જેમાં મોટાભાગના પશુપાલકો સહકાર આપવા તૈયાર થયા છે અને પશુઓના શહેરથી દૂર બહારના વિસ્તારમાં સ્થળાંતર માટે સમય માંગ્યો છે. કેટલાક ઢોરમાલિકોએ તેમના થોડા ઢોરનું સ્થળાંતર પણ કર્યું છે, પણ મનપા તંત્રએ એક અઠવાડિયાની મુદ્ત આપી છે અને શહેરમાં ઢોરમાલિકોને પોતાના ઘરે ઢોર રાખવાનો અધિકાર જ નથી તેમ જણાવી કેટલ પોલિસીના તમામ નિયમોનું ચોક્કસ પણે પાલન થાય તેવી રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
મનપાના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં ખૂબ જ મક્કમતાથી નગરજનોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા કડકમાં કડક અવિરત કાર્યવાહીનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ઝુંબેશમાં પોલીસ વિભાગની સાથે સંકલન કરી સહકાર મેળવવામાં આવશે. ઢોર ભગાડનારા શખ્સો (ઢોરમાલિકો) સામે કડક કાયદાકીય કાર્યવાહીની પણ તૈયારી કરી લેવામાં આવી છે.
ત્યારે હવે મનપા નું તંત્ર કેવા આકરા પગલા લેવા.નું ચાલુ રાખે છે તે તો આવનારો સમય જ કહેશે.