ભોગ બનનારને પીડિતાને રૂ.7 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ
Rajkot,તા.26
મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બનાવના ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને અને દંડ તેમજ ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પરિવારની ૧૬ વર્ષની સગીરાને આવાસ યોજનાના ક્વાર્ટરમાં જ રહેતા અમરેલીના અભિષેક દિપકભાઈ કુંભરેલા નામના શખ્સે તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી અમરેલી લઈ ગયો હતો. જ્યાં આશરે નવ દિવસ સુધી રાખી દુષ્કર્મ ગુજારીયા અંગેની ભોગ બનનાર સગીરાના પિતાએ યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી સામે પુરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષ તરફથી ભોગબનનાર, ફરીયાદી, ડોકટરો, પંચ વીટનેસો અને પોલીસ વીટનેસો વિગેરેને રજુ રાખ્યા હતા એ ઉપરાંત બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યા અંગેના ગુનામાં આરોપી અભિષેક દિપકભાઈ કુંભરેલાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને દંડ તેમજ ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી રોકાયા હતા.