Ahmedabad,તા.૨૬
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતને બે મોટી ભેટ આપી હતી. જેમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આજે દાહોદમાં આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. ટ્રેન નંબર ૨૬૯૦૧ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે. આ ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના તમામ દિવસ ચાલશે. આ ટ્રેન દરરોજ સવારે ૦૫ઃ૨૫ વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડશે., તે ચાંદલોડિયા, વિરમગામ, રાજકોટ, જૂનાગઢ થઈને બપોરે ૧૨ઃ૨૫ વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.
ટ્રેન નંબર ૨૬૯૦૨ વેરાવળ – સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી દરરોજ બપોરે ૨ઃ૪૦ વાગ્યે ઉપડશે. આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વિરમગામ થઈને ૨૧ઃ૩૫ કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના ચાંદલોડિયા સ્ટેશન પર હાલમાં વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. તેના પૂર્ણ થયા પછી, વંદે ભારત એક્સપ્રેસ ચાંદલોડિયા સ્ટેશન પર એક વ્યાપારી સ્ટોપેજ પણ ધરાવશે.
આ ઉપરાંત આજે વડાપ્રધાન વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનની પણ ભેટ આપી છે.ટ્રેન નંબર ૧૯૦૧૧ વલસાડ સ્ટેશનથી દરરોજ સવારે ૦૫ઃ૧૫ વાગ્યે ઉપડશે. આ ટ્રેન બીલીમોરા, નવસારી, સુરત, વડોદરા, ગોધરા થઈને ૧૧ઃ૦૫ વાગ્યે દાહોદ સ્ટેશન પહોંચશે.પરત ફરતી વખતે, આ ટ્રેન દાહોદ સ્ટેશનથી સવારે ૧૧ઃ૫૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૨૦ઃ૦૫ વાગ્યે વલસાડ સ્ટેશન પહોંચશે. આ ટ્રેનમાં કુલ ૧૭ કોચ હશે. ટ્રેનમાં એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ, ચાર થર્ડ એસી કોચ અને ૧૦ સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવશે. આ ઉપરાંત, ગાર્ડ કમ પાર્સલ વાનના બે કોચ હશે. દિવ્યાંગ મુસાફરોને ગાર્ડ વાનમાં બેસવાની સુવિધા આપવામાં આવશે.