New Delhi,તા.16
સાઉદી અરેબીયાએ મુસ્લીમોની પવિત્ર હજયાત્રામાં ભારતીયોના કવોટામાં કાપ મુકાયા બાદ હવે તેમાં 10000નો વધારો કરી દીધો છે અને કુલ 175025નો કવોટા થયાનુ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે જાહેર કર્યુ છે.
સાઉદી અરેબીયાએ ભારતના ખાનગી ઓપરેટરોના કવોટામાં 52000નો કાપ મુકતા ઉહાપોહ થયો હતો તે પછી ભારત સરકારની વિનંતી બાદ 10000નો વધારો કર્યો છે. ભારતીય ખાનગી 32 ઓપરેટરોએ સમય મર્યાદામાં પ્રક્રિયા પુર્ણ ન કરતા 52000નો સ્લોટ રદ કર્યો હતો.
મુસ્લીમ સંગઠનો તથા નેતાઓએ આ મામલે દરમ્યાનગીરી કરવા કેન્દ્ર સરકારમાં રજુઆત કરી હતી. ઈસ્લામમાં સૌથી પવિત્ર શહેરો મકકા તથા મદિનામાં વાર્ષિક હજયાત્રા યોજાય છે અને વિશ્વભરમાં લાખો શ્રદ્ધાળુઓ તેમાં સામેલ થાય છે.
લઘુમતી બાબતોના મંત્રાલયે ટવિટ કરીને જાહેર કર્યુ હતુ કે ભારતના હજયાત્રીનો કવોટા 2014માં 136020નો હતો તે હવે 2025માં 175025 થયો છે તે પૈકીના 122518 હજયાત્રીઓની યાત્રાની વ્યવસ્થા હજ કમીટી ઓફ ઈન્ડિયા સંભાળશે.
ભારતીય મુસ્લીમોની હજયાત્રાની વ્યવસ્થાને સરકારને પ્રાથમીકતા આપે છે. સાઉદી સરકારની ગાઈડલાઈન મુજબ હજયાત્રીઓ માટે વિમાન, પરિવહન, રહેઠાણ સહિતની વ્યવસ્થા કમીટી દ્વારા પુર્ણ કરી લેવામાં આવી છે. કમીટી હસ્તક સિવાયનો કવોટા ખાનગી ટુર ઓપરેટરો હસ્તક હોય છે.
સાઉદી સરકારના નિયમો અંતર્ગત 800 ટુર ઓપરેટરોએ કોમન ગ્રુપ બનાવ્યુ છે. તેઓને આગોતરી નિશ્ર્ચિત ફાળવણી કરવામાં આવે છે. આ વખતે તેઓ સમયમર્યાદા ચુકી ગયા હતા. યોગ્ય કરાર થયા ન હતા. પરિણામે કવોટા રદ થયો હતો. આ તકે ભારત સરકારે દરમ્યાનગીરી કરતા હજયાત્રીના કવોટામાં 10000નો ઉમેરો થયો છે.