Nepal,તા.24
નેપાળના કાઠમંડુ (Kathmandu)માં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે પાયલટનો બચાવ થયો છે જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ટેક્નિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના
નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે (24 જુલાઈ) કાઠમંડુના ત્રિભુવન (tribhuvan airport) એરપોર્ટ પર શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રનવે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી અને જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઇ ગયું હતું. દુર્ઘટના બાદ સમગ્ર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે શૌર્ય વિમાનમાં 15 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા. જેમાંથી 18 લોકોના મોત થયા છે. જ્યારે પાયલટનો આબાદ બચાવ થયો છે.
એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનાસ્થળ પરથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યને કાટમાળમાંથી બચાવીને સારવાર માટે સિનમંગલની કેએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.