Jamkhambalia, તા. 11
તા. 10 મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવી રહી. રાજ્ય કક્ષાની વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ખાસ ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.
ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલા ગીતા સંદેશમાં કહ્યું છે કે, પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું.
143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુન: વસવાટ શરૂ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. હાલ ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાનએ ‘પ્રોજેકટ લાયન’ શરૂ કરાવ્યો છે.
આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. રાજ્યમાં સિંહોની સંખ્યા 674 થી વધીને 891 થઈ છે. સિંહોની વધતી વસ્તી આપણા સૌ માટે ગૌરવની વાત છે.
વિકસિત ભારત 2047નો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું હતું કે,આઝાદીની શતાબ્દી સુધીના આ અમૃતકાળમાં વિકાસની સિંહ ગર્જનાથી વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા ઝડપથી બનશે
આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો ફળશ્રુતિ રૂપે સિંહો સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ ગંભીર રૂપે આકાર લઈ રહી છે.
પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના પૂરક છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગીર પ્રદેશમાં વસવાટ કરતા માલધારીઓ અને સિંહો વચ્ચે અનોખો બંધન જોઈ શકાય છે.
આજે સમગ્ર વિશ્વ માટે ઈકો સેન્ટ્રિઝમના ભારતના પ્રયાસો પ્રેરણારૂપ બન્યા છે. ગત વર્ષે સાસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયેલ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગમાં તેમણે ગુજરાત માટે સિંહોની વસ્તીમાં વધારો કરવા અને સિંહોના નવા રહેઠાણ એવા બરડા વન્યજીવ અભયારણ્યને વિકસાવવા માટે જે સંકલ્પ કર્યો હતો તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સુપેરે પાર પાડ્યો છે. જળવાયુ પરિવર્તનના કારણે અતિવૃષ્ટિ, તોફાન જેવી સમસ્યાઓ આકાર લઈ રહી છે.
કલાઈમેટ ચેન્જ માટે ‘કોએલીશન ફોર ડિઝાસ્ટર રેઝીલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ તેમજ ‘આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ’ જેવા પ્રયાસો હાથ ધર્યા છે. ઉપરાંત વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ’ રચના કરી છે. સાત માંથી પાંચ પ્રકારના બિગ કેટ એનિમલ ભારતમાં વસવાટ કરે છે તેના સંરક્ષણ પ્રયાસો કરાયા છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ગીર સિવાય પ્રથમ વખત બરડા અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહો આપણા ગુજરાતમાં વસવાટ કરે છે તે વાતનું સૌને ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને સિંહોનું સંરક્ષણના પ્રયાસોથી રાજ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી સિંહોનો પુન: વસવાટ થઈ રહ્યો છે.
બરડામાં 400 થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.
રૂ. 180.12 કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ લોકાર્પણ અને ખાત મુહૂર્તના કામો તથા યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં બરડા અભયારણ્ય ખાતે 248 હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂ. 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે 10.96 કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટરોનું નિર્માણ, વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ. 7.57 કરોડના ખર્ચે 137 કામો, જે.આઈ.સી.એ. પ્રોજેક્ટ હેઠળ 720 ગામડાઓમાં રૂ. 35.62 કરોડના ખર્ચે સામૂહિક વિકાસ કામો અંગેની જાહેરાત, રૂ. 7 કરોડના ખર્ચે વન્યપ્રાણી માટે રેસ્ક્યુ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ, રૂ. 21 કરોડના ખર્ચ બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના, 9.94 કરોડના ખર્ચે ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે કુલ 20 આવાસ અને ઓફિસ બિલ્ડીંગના કામો, રૂ. 5 કરોડના ખર્ચે ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન, રૂ. 65 લાખના ખર્ચે સી.એસ.આર. હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ, રૂ. 6.98 કરોડના ખર્ચે પેટ્રોલિંગ અને મોનિટરિંગ માટે 3 રેસ્કયુ વ્હિકલ 200 બાઇક અને 44 યુટિલિટી વ્હિકલ અર્પણ કરવામાં આવ્યા હતા તથા 24 ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, ચેતનાબેન તિવારી તેમજ મયુરભાઈ ગઢવી, ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.