Patna,તા.21
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર હમણા હમણા અચાનક જ વિચિત્ર વર્તન કરી બેસે છે. કયારેક શબ્દો પરનો કાબુ પણ ગુમાવી બેસે છે. તેઓએ હાલમાં જ પટણામાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનો સમય થયો અને તે વગાડવાની તૈયારી હતી. ત્યાં જ તેઓએ રાષ્ટ્રગીત વગાડવાનું અટકાવી દીધુ હતું.
અને કહ્યું કે, પહેલા સ્ટેડીયમને ચકકર લગાવી આપીએ છીએ પછી રાષ્ટ્રગીત વગાડશે, નીતીશના આ આદેશથી રાષ્ટ્રગીત વગાડવાનું મુલત્વી રાખી દેવામાં આવ્યું હતું.
તેઓ પટણાના પાટલીપુત્ર ખેલ પરિસરમાં ખેલકુદ અંગેના એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. નીતીશના કહેવાથી રાષ્ટ્રગીત વગાડવાનું તો થોડો સમય મોકુફ રખાયુ. નીતીશ પુરા સ્ટેડીયમના ચકકર મારી આવ્યા પછી રાષ્ટ્રગીત શરૂ થયુ તે બાદ પણ નીતીશ રાષ્ટ્રગીતને સન્માન આપતા ન હોય તે રીતે સ્ટેડીયમમાં ખેલાડી- લોકોનું અભિવાદન કરતા રહ્યા.
સૌને હાથ જોડી પ્રણામ કરતા રહ્યા. મુખ્ય સચીવ દીપકકુમારે આ જોઈને નીતીશકુમારને વિનમ્ર રીતે સન્માન મુદ્દાઓ ઉભા રહેવા સંકેત આપ્યો પણ નીતીશે તે ગણકાર્યો નહી.
આમ પુરા રાષ્ટ્રગીત સમયે તેઓ સ્ટેજ પર ફરતા હતા અને રાષ્ટ્રગીતનું અપમાન કર્યુ. રાજયના પુર્વ મુખ્યમંત્રી અને રાજદ નેતા લાલુપ્રસાદ યાદવે આ અંગે સોશ્યલ મિડીયામાં તુર્તજ કોમેન્ટ કરતા લખ્યુ કે, રાષ્ટ્રગીત કા અપમાન નહી સહેગા હીન્દુસ્તાન…
જો કે નીતીશકુમારનું આ પ્રકારનું વિચિત્ર વર્તન પ્રથમ વખત કર્યુ નથી. તેઓએ હોલી-મિલનમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદને આવકારતા સમયે તેમના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સ્ટેજ પર ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો.
તો પટણામાં મહાત્મા ગાંધીની શ્રદ્ધાંજલી સભામાં તેઓ તાળી પાડવા લાગ્યા હતા. વિધાનસભામાં પણ તમો અનેક વખત આ પ્રકારના વિચિત્ર વર્તન કરી ચૂકયા છે.