Surat,તા.24
સુરત શહેરમાં પાલિકા કે સરકારના ટેક્સ ભરીને ધંધો કરનારા માટે તંત્રના અનેક નિયમો છે પરંતુ શહેરમાં ગેરકાયદે દબાણ કરનારાઓ માટે કોઈ નિયમ ન હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ટેક્સ ભરી કાયદેસરનો ધંધો કરનારા તહેવારોમાં એક બે દિવસ મંડપ બાંધવાની પરવાનગી માંગે તો અનેક નિયમો પાલિકા અને પોલીસ બતાવે છે પણ દબાણ કરનારાઓને કોઈ નિયમ નહ હોવાનું બહાર આવી રહ્યું છે. પાલિકા અને પોલીસના આવા વલણના કારણે શહેરમાં દબાણ ની સમસ્યા દિવસને દિવસે વધી રહી છે.
થોડા સમય પહેલાંઉતરાયણ અને હાલમાં હોળી ધુળેટી સહિત અનેક તહેવારોની ઉજવણી થઈ ત્યારે શહેરના કોટ વિસ્તારમાં વેપાર કરનારા વેપારીઓએ દુકાન બહાર નાનકડો મંડપ બનાવવા માટે પાલિકા અને પોલીસ પાસે કાયદેસરની મંજુરી માંગી હતી. પાલિકા અને પોલીસે મંજુરી તો આપી હતી પરંતુ અનેક નિયમોનું પાલન કરવા માટેની શરત મુકી હતી. હાલમાં પાલિકા અને પોલીસ પાસે લોકો ધંધો કરવા માટે મંજુરી માંગે છે તેની સામેની શરતો આકરી હોય છે.
કાયદેસર ધંધો કરનારા મંડપની પરવાનગી માંગે તો પાલિકા અને પોલીસ એવી શરતો મુકે છે કે, મંડપ રોડ ઉપર નિકળતા વાહન ચાલકોને અવર જવરમાં અડચણરૂપ ન થાય તે અંગે જરૂરી તકેદારી રાખવાની શરતે તેમજ રસ્તા ઉપર કોઈ પણ વાહન પાર્કિંગ ન કરે તેની તકેદારી રાખવી પડશે. આ ઉપરાંત સરકાર તથા પોલીસ જાહેરનામા મુજબ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણ ન થાય તેમજ ઇમરજન્સી અગત્યના વાહનો શેરી/મહોલ્લામાં આવવા જવાનો રસ્તો ખુલ્લો રાખવાની શરતો તો હોય છે. સાથે સાથે પાલિકામાં જરૂરી ફી ભરીને તેની એન.ઓ.સી. લઈને કામગીરી કરવાની હોય છે.
સીઝનલ ધંધો હોય અને દુકાન પર મંડપ બનાવવાનો હોય તેની કાયદેસરની પરવાનગી લેવા માટે આટલી મહેનત વેપારીઓએ કરવાની હોય છે. જ્યારે બીજી તરફ પાલિકાના રોડ કે ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારાઓ પોલીસ અને પાલિકાની નજર સામે જ દબાણ કરે છે. પાલિકા કે પોલીસ આવા ગેરકાયદે દબાણો કાયદેસર હટાવતી નથી પરંતુ જો કાયદેસર ટેક્સ ભરનારો વેપારી મંડપ બનાવે કે ટેબલ બહાર કાઢે તો પાલિકા અને પોલીસ આકરી શરતો રાખે છે. આવી સ્થિતિ હોવાથી લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે, સુરતમાં કાયદેસર મંજુરી સાથે ધંધો કરવા માટે અનેક મુશ્કેલી છે પરંતુ ગેરકાયદે ધંધા કરનારા કોઈ પ્રકારનો ટેક્સ ભરતા નથી શહેર માટે ન્યુસન્સ રુપ છે તેવા લોકો માટે પાલિકા અને પોલીસનું કુણુ વલણ છે તેના કારણે જ શહેરમાં દિવસેને દિવસે દબાણ ની સમસ્યા વકરી રહી છે.