ટ્રમ્પે કરેલી પોસ્ટ મુજબ અમેરિકાની મધ્યસ્થીમાં બંને દેશના નેતાઓની વચ્ચે વાતચીત થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો
New Delhi, તા.૧૨
ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી રોકવાનો નિર્ણય(સીઝફાયર) બંને દેશોએ અરસપરસમાં વાતચીત કર્યા પછી લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. આ વાત ભારત તરફથી કહેવામાં આવી છે. આ પહેલા આ વાતની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર એક પોસ્ટ કરીને આપી હતી. ટ્રમ્પની આ પોસ્ટ મુજબ અમેરિકાની મધ્યસ્થીમાં બંને દેશના નેતાઓની વચ્ચે વાતચીત થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે એક પોસ્ટ કરીને જણાવ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે. એમાં કોઈ ત્રીજા દેશની કોઈ પ્રકારની ભૂમિકા નથી. હકીકતમાં ૧૦મી મેને શનિવારે સાંજે ૬ઃ૦૭ કલાકે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક પોસ્ટ કરીને કહ્યું કે સીઝફાયર પર સહમતિ સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય છે. એટલે કે અમેરિકા વચ્ચે નથી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ શનિવારે બપોરે ફોન પર વાતચીત કરી હતી. એટલે ભારતે પોતાની શરતો પર સીઝફાયર કર્યો છે અને ૧૨મી મેએ બંને દેશોના ડીજીએમઓ ફરીથી વાતચીત કરશે. આ સાથે જ વિદેશ મંત્રી એસ.જયશંકરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ભારત અને પાકિસ્તાને આજે ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતી બનાવી છે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે મોડી રાત્રે પત્રકાર પરિષદમાં જણાવયું હતું કે, સરહદ અને જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ થાય તો તેનો જડબાતોડ જવાબ આપવા સશસ્ત્ર દળો સજ્જ છે. ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન સાથે વાત કર્યા પછી પણ પાકિસ્તાને નાપાક હરકતો ચાલુ રાખી છે અને સમજૂતિનો ભંગ કર્યો છે. ભારતીય સૈન્ય દ્વારા શસ્ત્ર વિરામ ભંગનો યોગ્ય જવાબ અપાઈ રહ્યો છે.