Ahmedabad, તા. 27
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને શુભકામનાઓ પણ પાઠવી છે.
ખંભાળિયાના વતની અને જામનગરથી કારકિર્દીનો વેગ પકડી અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા પરિમલભાઈ નથવાણી હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
અમદાવાદ સ્થાયી થયાના પ્રારંભથી માંડીને આજ સુધીના છેલ્લા કેટલાક દાયકાઓની સફરમાં તેમણે અમદાવાદનો ખૂબ જ ઝડપી અને સુંદર વિકાસ જોયો છે. જેમાં જગન્નાથપુરી મંદિર હોય કે માણેકચોક કે વિવિધ નાની-મોટી પોળ… તમામનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. અહીં સ્થાનિકો સાથે વિદેશીઓ પણ વિશાલા ખાતે આવી અને સ્વાદિષ્ટ થાળીની મોજ માણતા અને આજે પણ માણે છે.
ખાસ કરીને અહીં નિર્માણ પામેલા મોટેરા સ્ટેડિયમ તેમજ ક્રિકેટના થયેલા વિકાસ અને ફૂટબોલની પ્રવૃત્તિને મળેલા વેગ તમામ બાબત ખૂબ જ અકલ્પનીય અને નોંધપાત્ર બની છે. જે બાબત નથવાણીએ ગૌરવ વ્યક્ત કરી અને અમદાવાદની સરખામણીએ બીજું કોઈ શહેર આવી ન શકે તેઓ પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.
અમદાવાદનો વધતો જતો સર્વાંગી વિકાસ સૌ માટે ગૌરવની વાત છે. તેમ કહી અને આગામી દિવસોમાં અહીં વિશ્વ કક્ષાની સ્પર્ધા ઓલમ્પિકનું પણ આયોજન થઈ રહ્યું છે.
જે આગામી દિવસોમાં ફક્ત ગુજરાત જ નહીં પણ વિશ્વભરના લોકો અમદાવાદને જોશે. ઓલમ્પિકના આયોજન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તેમ પણ શ્રી નથવાણીએ વધુમાં ઉમેર્યું હતું.આજના સ્થાપના દિવસે પરિમલભાઈ નથવાણીએ તમામ અમદાવાદીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.