Vadodara,તા.07
વાઘોડિયાના રૃસ્તમપુરા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી ઉમા વિદ્યાલય પાસે શ્રી કુંજ બંગ્લોઝમાં રહેતા નવનીતભાઇ રમણભાઇ બારિયા મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામના વતની છે. તેઓ શ્રી કુંજ બંગ્લોઝમાં રહેતા જૂનીબેનના મકાનની દેખરેખ રાખે છે. તેમના એક પુત્રનું ૧૨ વર્ષ પહેલા મોત થયું હતું. જ્યારે બીજો દીકરો જૈમિન (ઉં.વ.૨૨) તેમની સાથે રહે છે. ગઇકાલે વતનમાં લગ્ન પ્રસંગ હોઇ જૈમિન સાંજે બાઇક લઇને ગયો હતો.જૈમિન ગઇકાલે બાઇક લઇને વાઘોડિયાના રૃસ્તમપુરા ગામ નજીકથી જતો હતો. તે દરમિયાન સામેથી આવતી એક બાઇકના ચાલકે તેને ટક્કર મારતા તેને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.