Rajkot,તા.31
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગત તા. 7 મે ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.
દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં પણ શનિવાર તા. 31 ના રોજ સાંજે 5 વાગ્યે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે દ્વારકાના એરફોર્સ સ્ટેશન અને વાડીનારમાં કોસ્ટ ગાર્ડ ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે.
આ ઉપરાંત આ બંને સ્થળોએ શનિવારે રાત્રે 7:45 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.
આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે. જેમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ
રાજકોટમાં આજે માધાપર ચોક આસપાસના વિસ્તારોમાં બ્લેક આઉટ કરી સાઇરન વગાડાશે. લોકોને સહકાર આપવા અપીલ કરાઇ છે.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં યુદ્ધ સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિક સંરક્ષણની તૈયારીઓ માટે સમગ્ર રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજે તા.31 મેના રોજ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે.
ગીર સોમનાથ જિલ્લામાં સાંજના 05:30 કલાકથી સોમનાથ મંદિર ખાતે તેમજ સાંજના 06:30 કલાકથી વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે મોકડ્રીલ યોજાશે. મોકડ્રિલ સંદર્ભે સાંજના 07.45 થી 08.15 સુધી બ્લેકઆઉટ રહેશે. આ બ્લેકઆઉટમાં નાગરિકોને સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
મોકડ્રીલ દ્વારા નાગરિક સંરક્ષણની તૈયારીઓ, દુશ્મન દેશો દ્વારા થતા ડ્રોન/મિસાઇલ/હવાઈ હુમલા સામે બચાવ માટેની તૈયારીઓ, સિવિલ તથા મિલિટરી ઓથોરીટી વચ્ચે તાલમેલ અંગેનો અભ્યાસ કરી ત્રૂટીઓ દૂર કરવામાં આવશે. આ મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલ 2312 જેટલા સ્વયંસેવકો, એન.સી.સી કેડેટ્સ, હોમ ગાર્ડ્સ, બ્લેક આઉટ વોર્ડન વગેરે જોડાશે.
આ મોકડ્રિલ દરમિયાન હવાઈ હુમલા સમયે સાયરન દ્વારા એલર્ટ, બ્લેકઆઉટ પ્રોટોકોલ, કોમ્યુનીકેશન સીસ્ટમ, મેડીકલ રીસ્પોન્સ, ઇવેક્યુએશન, વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્ટિયર્સ, આરોગ્ય વિષયક બાબતો, ફાયર સેફ્ટી અને આપાતકાલીન વ્યવસ્થાઓ સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ બાબતોને ચકાસવામાં આવશે.
અમરેલી જિલ્લો
ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને સચેત તેમજ જ્ઞાત કરવાના ઉદ્દેશ્ય સાથે તકેદારીના ભાગરુપે રાજયભરમાં ઓપરેશન શીલ્ડ યોજવામાં આવી રહ્યું છે.
ઓપરેશન શીલ્ડ અન્વયે અમરેલી જિલ્લામાં આજરોજ રાત્રે 8 થી રાત્રે 8.30 વાગ્યા (30 મિનિટ) સુધી તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ અને વિવિધ ગામોના વિસ્તારોમાં બ્લેક આઉટ એક્સરસાઇઝ યોજાશે.
મહત્વનું છે કે, નાગરિકોએ આ અંગે ગભરાવાની કે અફવાઓને ઘ્યાને લેવાની નથી, ઓપરેશન શિલ્ડ એ માત્ર નાગરિકોને જ્ઞાત કરવાનો હેતુ ધરાવે છે.
આ મોક બ્લેક આઉટ એક્સરસાઇઝ (અંધારપટ)ના ભાગરૂપે અમરેલી જિલ્લાના નાગરિકોને સ્વંયભૂ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખવા અને અતિ આવશ્યક ન હોય તો માર્ગો પર વાહનો સાથે નીકળવાનું ટાળવા અને અંધારપટ જાળવવા માટે સહયોગ આપવા અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાએ અનુરોધ કર્યો છે.
ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરૂપે શનિવારે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરૂરિયાતબાબતે સમજૂત કરવા માટે રાજય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ અન્વયે અમરેલી જિલ્લાના તમામ મહત્વના સ્થળો, ડેમ, એદ્યોગિક એકમોની પ્રોડક્શન સિવાયની સાઇટ તેમજ રહેણાંક મકાનો, વ્યવસાયિક એકમોને બ્લેકઆઉટમાં સ્વયંભૂ જોડાવવા માટે જાગૃત્ત કરવાના છે.
આ સમયે પણ જિલ્લામાં હોસ્પિટલ-દવાખાનાઓ અને આવશ્યક સેવાઓ સહિત ઇમરજન્સી તમામ સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરૂ રહેશે, તેમને આબાબતથી મુક્તત રાખવામાં આવશે.
બ્લેકઆઉટ એક્સર સાઇઝમાં વધુમાં વધુ નાગરિકોને જોડી રાત્રિના 8.00 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી લાઇટ બંધ રાખવા જાગૃત્ત કરવાના પ્રયાસો અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.
જિલ્લાના તમામ ડેમ અને જે સ્થળોએ સાઇરન છે તેવા સ્થળોએ રાત્રિના 8.00 કલાકે સાઇરન વાગશે. સાઇરન વાગતા નાગરિકોએ લાઇટ બંધ રાખવાની છે. જરૂરી ન હોય તેવો વાહન વ્યવહાર પણ સ્થગિત રહે તે માટે નાગરિકોએ સહકાર આપવો.
રાજુલા
ઓપરેશન શીલ્ડ અન્વયે રાજુલા મુકામે કોસ્ટગાર્ડ સાઇટ પર મોકડ્રીલ યોજાશે. આ સાથે સંભવિત સ્થિતિને પહોંચી વળવા સિવિલ ડિફેન્સ, એન.સી.સી. એન.એસ.એસ., નહેરૂ યુવા કેન્દ્ર સહિતના સ્વયંસેવકોને જોડી રક્તદાન તેમજ રાહત બચાવની કામગીરીમાં જોતરવામાં આવશે.
જે સ્વયંસેવકોએ નોંધણી કરાવી છે તેમણેસંબંધિત કચેરીનો સંપર્ક કરવો. સ્વંયસેવક તરીકે જરૂરી હોય ત્યાં જોડાવવાનું રહેશે, આ તમામના રિસ્પોન્સિંગ સમય નોંધવામાં આવશે.