Gujarat,તા.27
નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.
નવરાત્રિની મજા બગાડશે વરસાદ?
સામાન્ય રીતે ભાદરવા સાથે જ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ આ વખતે 5 ઓક્ટોબર બાદ નૈૠત્યનું ચોમાસું વિદાય લેશે. વિદાય પહેલાં પણ મેઘરાજા હજું એક વાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયાં છે.
ગરબાના મેદાન પાણીમાં ગરકાવ
ગરબાના મેદાનો પાણીમાં ગરકાવ થવાથી આયોજકોએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને જો નવરાત્રિમાં વરસાદ પડે તો શું કરવું તેની વિચારણા કરી હતી. અનેક આયોજકો અત્યારથી જ નવરાત્રિમાં વરસાદ પડે તો મેદાન ઢાંકવા માટેની વ્યવસ્થા ઉપરાંત ભરાયેલા પાણી કાઢવા સ્પંજ અને પંપની વ્યવસ્થા કરી રહ્યાં છે. વરસાદના લીધે આયોજકોએ હજુ સુધી ડેકોરેશનની કામગીરી પણ શરૂ નથી કરી. આયોજકો ઓછા સમયે તૈયારીઓ કેવી રીતે પૂરી કરવી તે દિશામાં આગળ વધી રહ્યાં છે. મોટાભાગના આયોજકોનું માનવું છે કે, નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન ન બને તો જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.