Pakistan,તા.23
પાકિસ્તાનમાં ગઈકાલે 11 દેશોના રાજદૂતોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી.
આતંકવાદીઓએ રિમોટ કંટ્રોલ બોમ્બ વડે વાનને ઉડાવી દીધી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદૂતોના સમૂહને નિશાન બનાવતા કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી.
તમામ રાજદૂત સુરક્ષિત
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં શેરાબાદ પહોંચતા હુમલો કરવામાં આવ્યો હતો. કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત 11 દેશોના રાજદૂતો સામેલ હતા.
રાષ્ટ્રપતિએ હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ અને ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે, આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધ્યા
2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વધુ સક્રિય બન્યા છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના ડેટા અનુસાર, બંને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓ અનેકગણા વધ્યા છે. જુલાઈમાં આતંકી હુમલાની સંખ્યા 38 હતી. જે ઓગસ્ટમાં વધી 59 થઈ છે. ઓગસ્ટમાં ખૈબર પખ્તુનખ્વામાં 29 આતંકવાદી હુમલામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.