Ahmedabad,તા.09
કોંગ્રેસ પાર્ટી દ્વારા 64 વર્ષ બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયુ છે. ત્યારે પ્રથમ દિવસે કોંગ્રેસ પાર્ટી અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલ અને તેના વારસા મુદ્દેની લડતની આગને ફરી પ્રજ્વલીત કરી હતી. સરદાર-નહેરુનો મુદ્દો ફરી છંછેડતા આક્ષેપ લગાવ્યો હતો કે સંઘ અને ભાજપ નેહરૂ અને સરદાર પટેલને એક બીજાના દુશ્મન તરીકે ચિત્રે છે. પરંતુ ખરેખર સરદાર પટેલ અને જવાહરલાલ નેહરૂ એક સિક્કાની બે બાજુ સમાન છે.નેહરૂ અને સરદાર બંને પોતાને એક બીજા સાથે ખૂબ જ આનંદીત મહેસૂસ કરવા ઉપરાંત સાથે એક બીજા સાથેનું જોડાણ સાનુકુળ માનતા હતા. સરદાર-નેહરૂ ખરેખર એક સિક્કાની બે બાજુ સમાન હોવા છતાં ભાજપ-આરએસએસ દ્વારા તેઓને એક બીજાના દુશ્મન તરીકે ગણવાનું કાવતરુ કરવામાં આવ્યું છે. ભાજપ અને સંઘ દ્વારા એવી ભ્રામક વાતો ફેલાવવામાં આવે છે કે સરદાર પટેલે જે માન-સમ્માનને હકાદર હતા તે તેમને કોંગ્રેસ દ્વારા અપાયુ નથી. કોંગ્રેસ અઘ્યક્ષે વધુમાીં કહ્યુ કે સરદાર પટેલની વિચારધારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિચારધારાથી વિપરીત હતી અને તેએ સંગઠન પર પ્રતિબંધ પણ મુક્યો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પાર્ટી અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંભીર આક્ષેપો સાથે ભાજપ અને સંઘ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લડવૈયાઓ સામે આરએસએસ અને ભાજપનું આયોજનબદ્ધ કાવતરું છે. તેઓને ન ગણનારા સંઘ પરિવાર કે જે પોતે આઝાદીની લડતમાં કોઈ યોગદાન ધરાવતો નથી. ત્યારે ભાજપ અને સંઘ સરદાર પટેલ તેમજ જવાહરલાલ નેહરૂને એક બીજાના દુશ્મન તરીકે ચિત્રે છે. કોંગ્રેસ અઘ્યક્ષે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ અને સંઘ પરિવાર દ્વારા ગાંધી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબ્જો જમાવવામા આવી રહ્યો છે. પરંતુ ખરેખર તેઓ ગાંધી વિચારધારાથી વિરૂદ્ધના છે. ભાજપ-સંઘ દ્વારા વારાણસીમાં સર્વ સેવા સંઘ પણ લઈ લેવામા આવ્યુ છે. ગૂજરાત વિદ્યાપીઠમાં શું થયુ તે તમામ જાણે છે. આવા લોકો ગાંધીજીની લાકડી અને ચશ્માને ચોરી શકે છે પરંતુ ગાંધીજીની વિચારધારાને નહીં અનુસરી શકે. ગાંધીજીના વિચારોનો વારસો એ ખરા અર્થમાં મુડી છે અને જેને કોંગ્રેસ પાર્ટી સાચવીને બેઠી છે. સરદાર પટેલ અમારા દિલોમાં છે અને અમારા વિચારોમાં જીવંત છે.અમે તેઓના વારસાને આગળ લઈ જઈ રહ્યા છીએ.