New Delhi,તા.03
થોડાં અઠવાડિયા પહેલાં સુધી ઓસ્ટ્રેલિયન ટીમ ક્રિકેટ ઈતિહાસમાં નવો વારસો સ્થાપવાની વાત કરી રહી હતી. પરંતુ પર્થ ટેસ્ટમાં ભારતથી કારમી હાર બાદ આ લક્ષ્ય વધુ મુશ્કેલ જણાય છે. હવે દરેકની નજર આગામી નવ દિવસ પર છે કારણ કે એડિલેડમાં રમાનારી ટેસ્ટના પરિણામ પર ઘણું નક્કી થશે.
2018-19 ની ટેસ્ટ શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયા ભારત સામે 0-1થી પાછળ હતું. તે સમયે તેણે એડિલેડમાં 31 રને હાર બાદ પર્થમાં પુનરાગમન કર્યું હતું. પરંતુ 2020-21 ની શ્રેણીમાં ભારત 0-1 થી પાછળ હોવા છતાં શ્રેણી જીતી ગયું હતું. આ વખતે પર્થની હારથી ઓસ્ટ્રેલિયા માટે એડિલેડ ટેસ્ટ વધુ મહત્વની બની જાય છે.
► ઈજાને કારણે મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા
પર્થ ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાને ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. જોશ હેઝલવુડ સાઇડ સ્ટ્રેનને કારણે ઓછામાં ઓછી એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે મિશેલ માર્શની ફિટનેસ પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. પ્રથમ ટેસ્ટમાં માર્શનું પ્રદર્શન દર્શાવે છે કે તે મેચ માટે ફિટ નહોતો. ઑસ્ટ્રેલિયાની વર્તમાન ટીમમાં ઘણાં લોકો મોટી ઉંમરનાં છે, જેમાં નાથન મેકસ્વીની 30 વર્ષથી ઓછી ઉંમરનો એકમાત્ર ખેલાડી છે.
► ગુલાબી બોલ અને રાત્રીથી મુશ્કેલીઓ વધી
ગુલાબી બોલની ટેસ્ટનું સૌથી મોટું પાસું રાત્રે રમવાનું જોખમ હોય છે. નવો બોલ અને રાત્રે બોલનો સ્વિંગ બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને જો જસપ્રિત બુમરાહ જેવો બોલર લયમાં આવી જાય તો તે ઓસ્ટ્રેલિયાનાં બેટિંગ ઓર્ડર માટે ગંભીર ખતરો બની શકે છે.
► શા માટે વિજય મહત્વપૂર્ણ છે ?
ઓસ્ટ્રેલિયા માટે એડિલેડ ટેસ્ટ માત્ર એક મેચ નથી, પરંતુ તેમની પ્રતિષ્ઠા અને ભવિષ્યની યોજનાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. જીતથી તેમને સિરીઝમાં પુનરાગમન કરવાની તક તો મળશે જ, પરંતુ પર્થ ટેસ્ટની હારની અસર પણ ઓછી થશે.
► ટીમમાં ઉભાં થતાં પ્રશ્નો
પર્થ ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાનાં ડ્રેસિંગ રૂમમાં કથિત મતભેદોની અફવાઓ પણ ઉભી થઈ છે. જોશ હેઝલવુડની પ્રેસ કોન્ફરન્સ અંગે પણ અટકળો ચાલી રહી છે. જો કે ટીમ મેનેજમેન્ટે આ અફવાઓને ફગાવી દીધી છે, પરંતુ જો એડિલેડમાં પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો આ ચર્ચા વધુ તીવ્ર બની શકે છે.
► ફેરફારો ઘણી વખત થયાં
ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત હાર્યું છે ત્યારે ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યાં છે. 2016-17 માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમમાં મોટા ફેરફારો થયાં હતાં. અગાઉ, ઑસ્ટ્રેલિયાએ 2010-11 એશિઝ શ્રેણીમાં એડિલેડમાં હાર બાદ પર્થમાં પુનરાગમન કર્યું હતું,
પરંતુ મેલબોર્ન અને સિડનીમાં કારમી હારથી કોચિંગ સ્ટાફ અને ટીમની પસંદગી પર પ્રશ્નો ઉભા થયાં હતાં. જો ઓસ્ટ્રેલિયા એડિલેડ ટેસ્ટ હારશે તો 1988 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ટીમ ઘરઆંગણે સતત ત્રણ ટેસ્ટ હારશે. આને ટાળવા માટે, આ મેચ તેમનાં માટે ’કરો યા મરો’ની સ્થિતિ બની ગઈ છે.
► ભારતની તાકાત
એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ પહેલાં કરતાં વધુ મજબૂત દેખાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસીથી ટીમને નવી તાકાત મળશે, પર્થમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ એવું લાગે છે કે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજામાંથી એકનો સમાવેશ બોલિંગને વધુ મજબૂત બનાવશે. પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, ખાસ કરીને એડિલેડમાં પરંતુ એ વાત પણ સાચી છે કે પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ તેમનાં માટે અભેદ્ય કિલ્લો હતું, જેને ભારતે તોડયું છે.