Ahmedabad, તા. ૧
૧ મેના રોજ દુનિયાભરના લોકો આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ મનાવે છે. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના લોકો માટે આ દિવસ ખૂબ વિશેષ માનવામાં આવે છે. કારણ કે, આ જ દિવસે આજથી ૬૫ વર્ષ પહેલાં બંને રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિવસ પર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતીમાં ટિ્વટ કરીને ગુજરાતની જનતાને શુભકામનાઓ આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, “ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓપ ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.”
તો વળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ પર એક્સ પર પોસ્ટ લખીને રાજ્યની જનતાને શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ. ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતા થી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈને સ્વતંત્રતા ચળવળ અને આધુનિક સમય સુધી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રણી યોગદાન આપનારા ગુજરાતના લોકોની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરું છું.
આ તરફ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગુજરાતની જનતાને શુભકામના આપતો સંદેશો આપ્યો છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વિરાસતમાં દરેક ગુજરાતીનું યોગદાન છે. ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનાર નામી-અનામી સૌ ગરવી ગુજરાતીઓના સ્મરણનો આ દિવસ છે. આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી ૨૦૩૫ માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. ૨૦૨૫ થી ૨૦૩૫ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડમેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જનઉત્સવ બનવાનો છે. માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે.
હવે, તેઓના દિશાદર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો આપણો નિર્ધાર છે. સૌ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ અને જનચેતનાથી આપણે ગુજરાતને વિકાસના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશું. જય જય ગરવી ગુજરાત.