Ahmedabad,તા.03
ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસ બેડામાં શોકનો માહોલ
મળતી માહિતી અનુસાર, શહેરના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહને છાતીમાં દુ:ખાવો થયો હતો. આ દરમિયાન ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું હતું. જોકે, બાદમાં અર્જુન સિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કોન્સ્ટેબલના હાર્ટ એટેકથી નિધન બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.