New Delhi તા.30
આગામી વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારત વિશ્વની એક શક્તિશાળી હસ્તીને આમંત્રિત કરશે. તેમાં ન તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે કે ન તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન. તો પછી આ શક્તિશાળી હસ્તીઓ કોણ છે? તો તેમના નામ છે ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા છે. લેયેન યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે, જ્યારે કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે.
એક અહેવાલ પ્રમાણે ઔપચારિક આમંત્રણ અને સ્વીકૃતિ પ્રક્રિયા ચાલી રહી છે, અને પૂર્ણ થયા પછી નવી દિલ્હી અને બ્રસેલ્સ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતના દૃષ્ટિકોણથી પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટ આમંત્રણ ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. નવી દિલ્હી વ્યૂહરચના અને આતિથ્યને સંતુલિત બનાવતા ચીફ ગેસ્ટની પસંદગી કરે છે, જેમાં વ્યૂહાત્મક-રાજદ્વારી કારણ, વ્યાપારી હિતો અને આંતરરાષ્ટ્રીય ભૂરાજનીતિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
આ વખતે EU નેતૃત્વને આમંત્રણ આપવું એ ભારત-EU વચ્ચેના સંબંધોમાં ઝડપી વૃદ્ધિનો સ્પષ્ટ સંકેત છે, ખાસ કરીને ફેબ્રુઆરી 2025થી જ્યારે EU કોલેજ ઑફ કમિશનર્સે ભારતનો પ્રવાસ કર્યો હતો.
આમાં ભારત-EU મુક્ત વેપાર કરાર(FTA)ની ચાલી રહેલી વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા અને ટેક્નોલોજી, સંરક્ષણ-સુરક્ષા અને જન-સંપર્ક સહયોગને વધુ ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે.
પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે EU નેતૃત્વની હાજરી માત્ર રાજદ્વારી જીત જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી ભૂમિકાને પણ રેખાંકિત કરશે. આ આમંત્રણ ભારતની ’મલ્ટી-અલાઇનમેન્ટ’ નીતિનો એક ભાગ છે, જેમાં તે અમેરિકા, રશિયા અને યુરોપ સહિત તમામ મુખ્ય શક્તિ કેન્દ્રો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે.

