Prayagraj,તા.13
આજથી શરૂ થયેલા મહાકુંભમાં પ્રયાગરાજમાં સંગમકિનારે રોજ થતી ગંગા-આરતી બે મહિના સુધી માત્ર કન્યાઓ કરશે અને તેઓ જ શંખ અને ડમરુ વગાડશે. જય ત્રિવેણી જય પ્રયાગરાજ આરતી સમિતિ દ્વારા બે મહિના કન્યાઓ જ આરતી કરશે એવો નિર્ણય લેવાયો છે અને આ મહિલા સશક્તિકરણનો સૌથી મોટો દાખલો બની રહેશે.
ગંગા-આરતી માટે પ્લેટફોર્મ પર ચડીને પુરુષોમા ગંગાની જે આરતી ઉતારે છે એ હવે મહિલાઓ ઉતારશે. સાડીમાં સજજ મહિલાઓ આરતીનું પાત્ર હાથમાં લઇને એટલી જ તન્મયતાથી આરતી ઉતારશે.
આખી દુનિયામાં આ પહેલીવાર હશે કે નિયમિત રીતે થતી આરતી પુરુષોને બદલે મહિલાઓ ઉતારશે. આ ઘટના દુનિયાને એક સંદેશ આપવાનું પણ કામ કરશે. આ વિશે સમિતિના કૃષ્ણ દત્ત તિવારીએ કહ્યું હતું કે, 144 વર્ષ બાદ આવો મોકો આવ્યો છે કે મહિલાઓ આરતી ઉતારશે.
અત્યાર સુધી બટુક બ્રાહ્મણો દ્વારા આ કામ કરવામાં આવતું હતું. નારી સશક્તિકરણ અને પુરુષ અને નારી વચ્ચે સમન્વય સ્થાપવાના ઉદ્દેશ્યને લઇને અમે સંદેશ આપવા માગીએ છીએ.
બટુક બ્રાહ્મણોની સાથે સાથે કન્યાઓ દ્વારા ગંગા, યમુના અને સરસ્વતીની મહાઆરતી સંપન્ન કરવામાં આવી રહી છે. સનાતન સંસ્કૃતિમાં મહિલાઓનું વિશેષ યોગદાન છે.