Rajkot, તા. 15
રાજકોટમાં આજથી બરાબર આઠ મહિના અને 20 દિવસ પહેલા નાના મવા રોડના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની જીવલેણ દુર્ઘટનાના પડઘા હજુ પણ પડી રહ્યા છે ત્યારે ગઇકાલે ધુળેટીના દિવસે 150 ફુટ રોડના એટલાન્ટિસ બિલ્ડીંગમાં છઠ્ઠા માળે લાગેલી આગે મહાનગરમાં હજુ આવા કેટલા મોટા બિલ્ડીંગ આગથી સલામત છે કે નહીં તે સવાલ ઉભો કરી દીધો છે.
ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂરા રાજકોટની કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર એનઓસી, સાધનો સહિતની તપાસ કરીને સેંકડો પ્રોપર્ટીને સીલ મારવામાં આવ્યા હતા. પરંતુ હવે રહેણાંક સહિતના હાઇરાઇઝ બિલ્ડીંગમાં તપાસ શરૂ કરી ધડાધડ નોટીસ આપવાનું શરૂ કરવા અધિકારીઓએ આદેશ આપ્યા છે.
એક તરફ મનપામાં નવા પ્લાન પાસ બિલ્ડીંગને કમ્પલીશન સર્ટીફીકેટ આપવા માટે ટીપી અને ફાયર શાખા વચ્ચે કમિશ્નરે સંકલન કરાવ્યું છે અને આ બીયુ પાસ થાય તે માટે બિલ્ડરો સતત રજુઆતો કરે છે. આ દરમ્યાન લકઝરીયસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટના આ કાર્યવાહીને ફરી બ્રેક મરાવી દે તેવું પણ લાગી રહ્યું છે.
બીગબઝારની સામે એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા 3 યુવાનોના મોત નિપજ્યા હતાં. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગ તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટી અંતર્ગત સઘન તપાસ ઝુંબેશ શરૂ કરી અનેક મિલ્કતને સીલ મારવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે માત્ર કોમર્શિયલ બિલ્ડીંગ સામે કાર્યવાહી થઇ હતી.
રહેણાકના એપાર્ટમેન્ટમાં ફક્ત ચેકીંગ કરેલ કારણ કે, રહેણાકનું બીલ્ડીંગ સીલ થઈ શકે તેમ ન હોય ફક્ત ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સરકારના આદેશ બાદ સંપૂર્ણ કામગીરીની જવાબદારી એફએસઓને સોંપાઇ હતી. આ કારણે ઘણી કામગીરી ધણીધોણી વગરની ચાલતી હોય તેવી છાપ પડી હતી.
હવે રાજકોટમાં આ સહિતના અનેક બિલ્ડીંગ એસો.એ ટીઆરપી ગેમઝોનનો બોધ પાઠ લઈ આજ સુધી એનઓસી રિન્યુ કરાવેલ નથી. આ કારણે રાજકોટમાં હવે મોટા પાયે ચેકીંગ અને નોટીસની કાર્યવાહી શરૂ કરાશે.
દરમ્યાન આ રહેણાકની ઈમારતમાં ફિટ કરવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનો વર્કિંગ કંડીશનમાં લાગ્યા નથી. જે કારણે કોમર્શીયલ ઈમારતોમાં ચેકીંગ અને સીલીંગની કાર્યવાહી મુજબની કાર્યવાહી હવે રહેણાકના બિલ્ડીંગોમાં પણ કરવી પડે તેવી જરૂરિયાત ઉભી થઈ છે. આથી મહાનગરપલિકા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે બેઠક યોજાશે તેમ જાણવા મળેલ છે.
એટલાન્ટિસ ઈમારતમાં આગની દર્ઘટના બાદ ફાયર વિભાગની તપાસમાં પ્રાથમિક ધોરણે ફાયરના સાધનો નકામા હોવાનું તેમજ 10 વર્ષથી બે વિંગની ફાયર એનઓસી રિન્યુ ન થયાનું અને બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેના લીધે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. હવે આ પ્રકરણમાં સંપૂર્ણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે જેના અંતે કડક કાર્યવાહી થવા સંકેત છે.
રાજકોટ : ગત મે 2024માં શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ તમામ બિલ્ડિંગ સોસાયટીમાં ફાયર એન.ઓ.સીને લઈને ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે રેસીડેન્સીયલ બિલ્ડિંગમાં સીલ મારવામાં આવતા નહીં પરંતુ નોટીસ આપવામાં આવતી. ત્યારે આશરે છ મહિના પૂર્વે એટલાન્ટિસ સોસાયટીની મિટિંગમાં ફાયર એન.ઓ.સીનો મુદ્દો સભ્યો સામે સોસાયટીના પદાધિકારીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો.
સોસાયટીમાં પ્રમુખ ડો.પ્રફુલ કમાણી, સેક્રેટરી વિજય નાગ્રેચા અને સુરેશ ચંદારાણાએ ફાયર એન.ઓ.સી. રિન્યુની વાત કરી હતી જે સભ્યોએ કહ્યું કે હા તાત્કાલિક ધોરણે રિન્યુ કરાવી લેવું જોઈએ. પરંતુ આજ દિવસ સુધી તે કાર્યવાહી થઈ નહોતી.