Mumbai,તા.03
જો તમે પણ શેર બજાર અને આઈપીઓમાં રોકાણ કરતાં રહો છો તો હવે સેબી તેનાથી જોડાયેલા અમુક ફેરફાર કરવા જઈ રહી છે. શેર માર્કેટને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી હવે કંપનીઓના આઈપીઓ માટે અરજી કરવાની સરળ રીત લાવવાની તૈયારી કરી રહી છે. નવી રીતમાં કંપનીઓને સંબંધિત ફોર્મમાં ખાલી સ્થાન પર સંબંધિત જાણકારી ભરવી પડશે. તેનાથી રોકાણકારોને કંપનીની જાણકારી સમજવામાં સરળતા થશે અને સેબીને પણ તપાસ કરવામાં વર્તમાન સમયની સરખામણીએ ઓછો સમય લાગશે.
એઆઈની પણ મદદ લેવાની તૈયારી
આ સિવાય સેબી ચીફ માધવી પુરી બુચે જણાવ્યું કે સેબી IPOની મંજૂરી માટે એઆઈની મદદ લેવાની પણ તૈયારી કરી રહી છે. સેબી એવું ફોર્મ તૈયાર કરી રહી છે, જેને આઈપીઓની તૈયારી કરી રહેલી કંપનીઓએ ભરવું પડશે. તેનાથી IPOને મંજૂરી મળવામાં ઓછો સમય લાગશે અને રોકાણકારોને કંપની વિશે જાણકારી સમજવામાં સરળતા થશે. નવા ફોર્મમાં કંપનીઓને ઓફર સાથે જોડાયેલી જટિલ બાબતોને પણ અલગથી સમજાવવા માટે સ્થાન આપવામાં આવશે.
ઘણી કંપનીઓએ સેબીની પાસે IPO માટે અરજી કરી
SEBI ચીફે જણાવ્યું કે નવું ફોર્મ સમજવામાં ખૂબ સરળ હશે. જો કોઈ અલગ વાત હશે તો તેને અલગથી સમજાવી શકાશે. સેબી ચીફે આ વાત ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમમાં કહી. સૂત્રો અનુસાર આ સમય ઘણી કંપનીઓ સેબીની પાસે IPOને લઈને અરજી આપી ચૂકી છે. આ કંપનીઓ કુલ 80,000 કરોડ રૂપિયા બજારથી એકત્ર કરવા ઈચ્છે છે. આટલી અરજીઓના કારણે સેબીએ પોતાના બીજા કાર્યોને રોકીને કર્મચારીઓને IPO સાથે જોડાયેલા કામ પર લગાવવા પડી રહ્યાં છે.
બે પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં
સેબી એવી પ્રોસેસ પર પણ કામ કરી રહી છે. જેનાથી કંપનીઓને શેર માર્કેટમાં રૂપિયા એકત્ર કરવા માટે બે પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં. અત્યારે કંપનીઓને રાઈટ્સ ઈશ્યૂ અને પ્રીફરેન્શિયલ ઈશ્યૂ માટે અલગ-અલગ મંજૂરી લેવી પડે છે. હવે સેબીની ઈચ્છા છે કે એક જ ફોર્મમાં સંપૂર્ણ જાણકારી હોય અને મંજૂરી મળવામાં અડધો સમય લાગે. તેનાથી કંપનીઓના રૂપિયા પણ બચશે કેમ કે તેમને વચેટિયાઓની જરૂર ઓછી પડશે.
બાદમાં આ સંમેલનમાં સેબીના મેમ્બર કમલેશ ચંદ્ર વર્ષ્ણીએ જણાવ્યું કે સેબી ટૂંક સમયમાં એક ડોક્યુમેન્ટ જારી કરશે, જેમાં ફાયનાન્સિયલ ઈન્ફ્લુએન્સરને નિયમોમાં લાવવા વિશે સૂચન માગવામાં આવશે. તેનો હેતુ તે લોકો પર નિયંત્રણ કરવાનો છે જે અત્યારે સેબીના નિયમો હેઠળ આવતાં નથી. સેબીએ IPO પ્રોસેસને સરળ કરવાની ઘણી રીત કાઢી છે. માધવી પુરી બુચે કહ્યું કે દેશના શેર બજારને સુરક્ષિત રાખવા માટે કેવાઈસીની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.