શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતી માધ્યમ બંધ કરવા પાછળ કયા કારણો છૂપાયેલા છે? શું પ્રશાસક પટેલને આ અંગેની જાણ નહીં હોય? વેધક સવાલો
Diu, તા. ૨૧
દીવમાં ફરી પોર્ટુગીઝ શાસન ઉપર જઈ રહ્યા હોય તેવુું લાગે છે. વાત એવી કરવી છે કે દીવમાં ગુજરાતી શિક્ષણ ઉપર વધુ મહત્ત્વ રહેતું અને તેનું મુખ્ય કારણ એ છે કે દીવમાં ધોરણ ૧ થી ૧૨માં ગુજરાતીમાં કુલ ૩૪૦૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અંગ્રેજીમાં ૧૬૫૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આંકડાઓ ઉપરથી સાબિત થાય છે કે દીવમાં અંગ્રેજી મીડિયમ કરતા ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી છે છતાં પણ હવે દીવ જિલ્લામાં માતૃભાષા ગુજરાતી બંધ કરવા ઉપર શિક્ષણ વિભાગ જઈ રહ્યું છે.
વાલીઓને ધો. ૧ થી ૪માં ફરજિયાત અંગ્રેજી અભ્યાસ કરાવવા દબાણ થઈ રહ્યું છે. વાલીઓ દલીલ કરે તો કહેવામાં આવે છે કે ગુજરાતી માધ્યમ કોઈપણ લેખિત ઓર્ડર વગર બંધ કરવામાં આવેલ છે અને ધીરે ધીરે ગુજરાતી સદંતર બંધ થઈ જશે અને ફરજિયાત અંગ્રેજી મીડિયમ રહેશે.
આ વાતની જાણ વાલીઓએ દીવ કલેકટરને કરી અને ગુજરાતી મીડિયમ ચાલુ રાખવા માંગ કરી છે. આ રજૂઆતનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે પણ મુદ્દાની વાત એ છે કે દીવમાં જનતાની માતૃભાષા ગુજરાતી છે. પ્રશાસક પટેલ પણ ગુજરાતી જ છે તો પછી ગુજરાતી માધ્યમ દીવમાં બંધ કરવા પાછળ શું કારણો છુપાયેલા હશે? આ અંગેની પ્રશાસકને જાણ નહિ હોય? તેવા વેધક સવાલો જાગૃત જનતામાં થઈ રહ્યા છે.