Ahmedabad,તા.13
ગઈકાલે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ આવી પહોંચતા જ અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
વાસ્તવમાં વિજયભાઈ રૂપાણીને આજે લંડનમાં અંજલીબેન તથા પરિવારના સભ્ય લોકોને મળવાનું હતું અને તે માટે ગઈકાલે બપોરે અમદાવાદ-લંડન ફલાઈટમાં રવાના થયા હતા પણ આ ફલાઈટ મીનીટોમાંજ દુર્ઘટનાગ્રસ્ત થતા શ્રી રૂપાણી પણ તેમાં મૃત્યુ પામ્યા હતા.
લંડનમાં આ ખબર મળતા જ તુર્તજ અંજલીબેન તથા લંડનમાં તેમની સાથે રહેલા વિજયભાઈના પરિવાર- સ્નેહી જેવા સાથી નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી અને તેમનો પરિવાર તુર્તજ ભારત આવવા રવાના થયો હતો.
લંડનથી દુબઈ અને ત્યાંથી રાત્રીના તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી ખાસ વિમાનમાં આજે સવારે અમદાવાદ આવી પહોંચતા તેમના ચાર્ટર ફલાઈટનુ ગુજસેલના એરપોર્ટ પર લેન્ડીંગ કરાવાયુ હતુ.
વિમાની મથકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, વિજયભાઈના એક સમયના કેબીનેટના સાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, રાજયના મંત્રી શ્રી મુકેશ પટેલ તથા રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર તથા અનેક વર્તમાન અને પુર્વ કોર્પોરેટર ત્યાં હાજર હતા.
શ્રી અંજલીબેન તથા તેમની સાથેના ભારદ્વાજ-ભંડેરી પરિવારના સભ્યો તુર્તજ પુર્વ મુખ્યમંત્રીના નિવાસે પહોંચ્યા જયાં રાજય સરકારના સીનીયર અધિકારી તથા વિજયભાઈ સાથે કામ કરી ચૂકેલા શ્રી મનોજ અગ્રવાલ અને તેમના પત્નીએ તુર્તજ અંજલીબેનને સધિયારો આપ્યો હતો અને પુર્વ સીએમના બંગલા પર પણ પરિવારજનો ઉપસ્થિત હતા. તેઓ પણ આ દુખદ ઘટના પર ભાવવાહી થયા હતા.
બીજી તરફ ગઈકાલની દુર્ઘટનામાં જે રીતે વિમાનમાં પ્રવાસ કરતા તમામ મુસાફરોના મૃતદેહો ભારે 13000 ડીગ્રી જેટલા સેલ્સીયસ વાતાવરણમાં સળગીને કોલસા જેવા બની ગયા છે તેમાં કોઈની ઓળખ પણ શકય નથી અને તેથી ડીએનએ ટેસ્ટ કરીને પાર્થિવ દેહના અવશેષો સુપ્રત થઈ રહ્યા છે.
જેમાં ગઈકાલે સ્વ. રૂપાણીના બહેનના ડીએનએ સેમ્પલ લેવાયા છે અને આજે હવે તેના પર સેમ્પલીંગની પ્રક્રિયા શરુ થશે. જે બાદ પાર્થિવ દેહ પરિવારને સુપ્રત થશે.
સ્વ.રૂપાણીના પુત્રી-જમાઈ પરિવાર લંડનમાં છે તેઓ પણ આજે સાંજે અમદાવાદ પહોંચી જશે અને સ્વ.રૂપાણીના પુત્ર ઋષભ જે અમેરિકામાં છે તેઓ પણ ભારત આવવા રવાના થયો છે તેઓ આજે રાત્રીના અથવા કાલે વહેલી સવારે અમદાવાદ પહોંચશે.
ઋષભ રૂપાણીના આગમન બાદ સ્વ.રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર અંગે નિર્ણય લેવાશે અને સંભવત આગામી બે-ત્રણ દિવસ બાદ રવિવારે અથવા સોમવારે સ્વ.ની અંતિમયાત્રા રાજકોટમાં યોજાશે. રાજકોટ એ સ્વ. રૂપાણીની કર્મભૂમિ રહી છે અને રાજકોટ સાથે તેમનો જે નાતો છે તેથી રાજકોટમાં પણ હાલ શોકમય વાતાવરણ છે.
: ગઈકાલે વિમાની દુર્ઘટનામાં દિવંગત થયેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની આજે ગાંધીનગર સતાવાર નિવાસસ્થાને પહોંચતા જ ભાંગી પડયા હતા. જો કે તેમના આગમન સાથે જ રાજય સરકારના ઉચ્ચ અધિકારી મનોજ અગ્રવાલ અને તેમના પત્ની સધિયારો આપવા પહોંચ્યા હતા.
મનોજ પરમારના પત્નીએ અત્યંત ભાવુક થઈને અંજલીબેનને સધિયારો આપ્યો હતો. બાદમાં પુર્વ મુખ્યમંત્રીના કમાન્ડોને જોતા જ અંજલીબેનને તુર્તજ કહ્યું કે, તમો સાહેબનું આટલું બધું ધ્યાન રાખતા હતા તો કાલે કેમ ન રાખ્યુ તેમ કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. બાદમાં તેઓને બંગલામાં લઈ જવાયા હતા.
વિમાની દુર્ઘટનાના પગલે અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને મળ્યા હતા અને તેને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ જ નહીં પરંતુ સંઘ અને ભાજપની કામગીરીમાં પણ તેમની સાથે શ્રી રૂપાણીએ કામ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રૂપાણીની કામગીરીમાં પણ શ્રી મોદીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.
આજે શ્રી મોદીએ દિલ્હી રવાના થતા પૂર્વે અંજલીબેન રૂપાણી અને પરિવારજનોને મળ્યા હતા તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા અને વડાપ્રધાને વિજયભાઈની પક્ષ અને સરકાર સાથેની કામગીરી તથા તેની પ્રતિબધ્ધતાથી કાયમ તેઓ આપણા દિલમાં રહેશે તેવી સંવેદના વ્યકત કરી હતી.
રાજકોટ: શ્રી વિજયભાઈ રૂપાણી જેઓને મળવા જવાના હતા તે લંડન સ્થિત તેમના પુત્રી અને જમાઈ સહિતના સભ્યો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે તથા રૂપાણીના પુત્ર ઋષભ જે અમેરિકામાં છે તે પણ મોડીરાત્રીના કે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ સ્વ.ના અંતિમવિધિ અંગે નિર્ણય લેશે.રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપ માટે મેન્ટર સાબીત થયેલા વિજયભાઈ રૂપાણીના નિધનના ખબર મળતા જ રાજકોટથી ભાજપના પદાધિકારીઓ, પ્રમુખ સહિતના હોદ્દેદારો અમદાવાદ પહોંચી ગયા છે.
વિસાવદરમાં ચૂંટણી કાર્યમાં જોડાયેલા રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી તૂર્ત જ ગાંધીનગર જવા રવાના થયા છે. તેઓની સાથે સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન પૂષ્કર પટેલ પણ જોડાયા હતા. રાજકોટ પ્રમુખ માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, ઘણા આગેવાનો અને કોર્પોરેટરો પણ આજે અમદાવાદ પહોંચી ગયા હતા.
વિજયભાઈના નેતૃત્વમાં લાંબો સમય સુધી કામ કરનાર કમલેશભાઈ મીરાણીએ તેમના સંસ્મરણો વાગોળતા કહ્યું કે મારી શહેર ભાજપ પ્રમુખ તરીકે નહીં પરંતુ કાર્યકર્તા તરીકેના ઘડતરમાં પણ વિજયભાઈનો ફાળો મોટો છે.
રાજકોટ: સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહની ઓળખ માટે તેમના રાજકોટ સ્થિત બહેનના ડીએનએ સેમ્પલીંગ કરવામાં આવ્યુ હતું અને આજે હવે તે સેમ્પલીંગ પરથી સ્વ. રૂપાણીના પાર્થિવ દેહની ઓળખ કરવામાં આવશે.
તમામ મુસાફરોના મૃતદેહ એટલી હદે સળગી ગયા છે કે તેને પારખવા મુશ્કેલ છે અને ઉપરાંત વિસ્ફોટ સાથે હજારો ડિગ્રી સેલ્સીયસથી આગથી મૃતદેહો લગભગ બની ગયા છે તેથી ડીએનએ એ કાનુની પ્રક્રિયા માટે પણ જરૂરી છે જેથી તે સેમ્પલીંગ કરીને પરિવારજનોને શરીરના છુટાભાગો સોપી શકાય તેવી વ્યવસ્થા છે.