Ahmedabad,તા.23
ખોખરામાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા આ મામલે સ્કૂલના આચાર્ય, સિક્યોરીટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, શાળાની બહાર આરોપી વિદ્યાર્થીએ પેટમાં બોક્સ કટરના ઘા માર્યા હતા. ત્યારબાદ મૃતક નયન સંતાણી પેટને રૂમાલથી કવર કરીને ચાલતો ચાલતો સ્કૂલની પાળી પર આવીને બેસી ગયો હતો. આ સમયે સિક્યોરીટી ગાર્ડથી માંડીને અન્ય સ્ટાફને જાણ થઈ હોવા છતાંય, તેને હોસ્પિટલ લઈ જવાની કે પોલીસ જાણ કરવાની તસ્દી લીધી નહોતી. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. જોકે, આ મામલે વિદ્યાર્થીના ન્યાય માટે વેપારીઓ મેદાન આવ્યા છે. વેપારીઓએ આજે બંધ પાલન કરીને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી છે.
ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મુદ્દે સિંધી સમાજ દ્વારા ગઈકાલે વિશાળ રેલી અને ઉગ્ર વિરોધ બાદ હવે વેપારી મંડળો પણ વિદ્યાર્થી અને તેના વાલીના સમર્થનમાં આવ્યા છે.શહેરના કાલપુર, રાયપુર, સરસપુર, સારંગપુર અને રિલિફ રોડ સહિતના વિવિધ વિસ્તારના વેપારીઓની સહમતી સાથે અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા શનિવારે (23 ઓગસ્ટ) બંધનુ એલાન અપાયુ છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વેપારી મંડળ-એસો. બિઝનેસ પાર્ક બંધ પાળશે. જેથી શનિવારે (23 ઓગસ્ટ) તમામ દુકાનો, બજારો, માર્કેટ, મોટા બિઝનેસ પાર્ક બંધ રહેશે.
વેપારી મંડળો પોસ્ટર અને બેનરો સાથે નયન માટે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે અને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં હાલ માર્કેટ બંધ જોવા મળી રહી છે. કોટ વિસ્તારમાં આવેલી તમામ માર્કેટો શાંત પડી ગઈ છે.