ભારતની વિમેન્સ ટીમ ૨૮મી જૂને નોટ્ટિંગહામ ખાતેની ટી૨૦ સાથે આ પ્રવાસનો પ્રારંભ કરશે અને તેની બીજી મેચ પહેલી જુલાઈએ રમાશે
મુંબઈ, તા.૧૩
ઇંગ્લેન્ડમાં પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા જનારી ભારતીય વિમેન્સ ટીમમાં ગુરુવારે ઇજાગ્રસ્ત સૂચિ ઉપાધ્યાયને સ્થાને અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ૨૮મી જૂનથી ઇંગ્લેન્ડ સામે ટી૨૦ સિરીઝનો પ્રારંભ કરશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે ૨૦ વર્ષીય સ્પિનર સૂચિ ઉપાધ્યાયે ગયા મહિને શ્રીલંકા સામેની સિરીઝ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો પરંતુ હવે તે ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામે રમી શકે તેમ નથી.ભારતીય ક્રિકેટ બોર્ડની મહિલા ટીમની પસંદગી સમિતિએ સૂચિને સ્થાને રાધા યાદવની પસંદગી કરી છે. સૂચિને ડાબા પગે ઇજા પહોંચી હતી. હરમનપ્રિત કૌરની ટીમ બેંગલોરમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ) ખાતે ટ્રેનિંગ લઈ રહી હતી ત્યારે સૂચિ ઘાયલ થઈ હતી. જેથી તે ઇંગ્લેન્ડમાં રમી શકે તેમ નથી.ભારતની વિમેન્સ ટીમ ૨૮મી જૂને નોટ્ટિંગહામ ખાતેની ટી૨૦ સાથે આ પ્રવાસનો પ્રારંભ કરશે અને તેની બીજી મેચ પહેલી જુલાઈએ રમાશે. ત્રીજી ટી૨૦ ઓવલ ખાતે ચોથી જુલાઈએ રમાશે જ્યારે નવમીએ માન્ચેસ્ટર અને ૧૨મીએ બર્મિંગહામના એજબસ્ટન ખાતે પાંચમી અને અંતિમ ટી૨૦ મેચ રમાશે. ત્યાર બાદ બંને ટીમ ૧૬, ૧૯ અને ૨૨મી જુલાઈએ સાઉધમ્પ્ટન, લોડ્ર્ઝ અને ચેસ્ટર-લી-સ્ટ્રીટ ખાતે ત્રણ વન-ડે મેચ રમશે.ટી૨૦ માટે ભારતની વિમેન્સ ટીમઃ હરમનપ્રિત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટીયા, હરલિન દેઓલ, દિપ્તી શર્મા, સ્નેહ રાણા, શ્રી ચારાણી, અમનજોત કૌર, અરૂંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સયાલી સાટઘારે, રાધા યાદવ. વન-ડે માટેની ભારતની વિમેન્સ ટીમઃ ટીમઃ હરમનપ્રિત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, જેમિમાહ રોડ્રિગ્સ, હરલિન દેઓલ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટીયા, તેજસ હસબનિસ, દિપ્તી શર્મા, સ્નેહ રાણા, શ્રી ચારાણી, અમનજોત કૌર, અરૂંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સયાલી સાટઘારે, રાધા યાદવ.