Bangladesh,તા.21
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. એવામાં ઇસ્લામિક શાસનની તરફેણ કરતી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ઢાકામાં પોતાની પ્રથમ વિશાળ રેલી યોજી હતી.
પાકિસ્તાન સમર્થક આ પાર્ટીએ બાંગ્લાદેશમાં પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે હિઝ્બ ઉત-તહરીર, વિલાયાહ બાંગ્લાદેશ, અંસાર અલ-ઇસ્લામ જેવા કટ્ટર ધાર્મિક સંગઠનો પણ એકઠા થયા હતા અને ખુલ્લેઆમ જેહાદ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
રાજધાની ઢાકામાં જમાત-એ-ઇસ્લામી સહિતના ઇસ્લામિક પક્ષો, સંગઠનો એકઠા થયા હતા. આ રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મંચ પરથી જમાત-એ-ઇસ્લામીના અધ્યક્ષ અમીર શફીકુર્રહમાને લોકોને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા હતા. બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો આ કટ્ટરવાદી પાર્ટીએ વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની સૈન્યની સાથે મળીને બાંગ્લાદેશીઓની હત્યામાં જોડાઇ હતી.
શેખ હસીનાએ આ પાર્ટી પર પ્રતિબંધ મુક્યો હતો જેને હાલની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે હટાવી લીધો હતો. હવે જમાત-એ-ઇસ્લામી અને તેના સમર્થકો ખુલ્લેઆમ આતંકવાદનો રસ્તો અપનાવવા લોકોને ઉશ્કેરી રહ્યા છે.
ઢાકાથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં નેતાઓ લોકોને હિંસા કરવા કહી રહ્યા છે, નમાઝ બાદ મસ્જિદ પાસે આ કટ્ટરવાદીઓએ જેહાદ ચાહિયે જેહાદ ચાહિયેના નારા લગાવ્યા હતા.
આ ઉપરાંત નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર, કોણ છીએ આપણે? મિલિટેંટ, મિલિટેંટ, ઇસ્લામી બાંગ્લાદેશમાં કાફીરો માટે કોઇ જ જગ્યા નથી જેવા સુત્રોચ્ચાર થયા હતા.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સામે આંદોલનમાં આ કટ્ટરવાદી સંગઠનોનો હાથ હતો, શેખ હસીના હાલ ભારતમાં શરણ લઇને રહી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓને મોકળુ મેદાન મળી ગયું છે.