Ahmedabad,તા.૧૯
રાજ્યના જીએસટી વિભાગે અમદાવાદ શહેરમાં પાન મસાલા અને તમાકુના વેપારીઓના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ૯.૬૭ કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. જીએસટી વિભાગે અમદાવાદનાં ઊંઝા, વિજાપુર, ઉનાવા ખાતે વેપારીઓને ત્યાં રેડ પાડી કરચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.
સૂત્રો મુજબ રાજ્ય જીએસટી વિભાગે અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર કરચોરી અટકાવવા માટે એક ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન ૬૭ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને બિનરજિસ્ટર્ડ ડીલરો જેવી અનેક ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં ૯.૬૭ કરોડની કરચોરી પકડાઈ હતી. તમાકુના વેપારીઓનાં ત્યાં ૭૧ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જ્યારે એસજીએસટીએ અમદાવાદમાં ૧૨ વેપારીઓને ત્યાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
અગાઉ અમદાવાદ શહેરમાં પાન મસાલાનાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નોંધાયેલા કરદાતાઓ અને નોંધાયેલા ન હોય તેવા ડીલરો પાસેથી અંદાજિત રૂપિયા ૫.૬૮ કરોડની કરચોરી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય જીએસટી વિભાગ આ પ્રકારની કરચોરી અટકાવવા માટે ઘણીવાર સર્ચ ઓપરેશન હાથ ધરે છે. જેમાં કરોડો રૂપિયાની કરચોરી ઘણીવાર પકડાય છે. થોડા મહિના પહેલા,જીએસટી વિભાગે પણ એક ભંગારના વેપારી પર દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી પકડી હતી.
અમદાવાદમાં સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો હતો. જેમાં કરચોરી કરતી ગુટખા કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.જીએસટી વિભાગે પાનમસાલાની ૨.૫૫ કરોડની કરચોરી ઝડપી પાડી હતી. જેમાં સ્ટેટ જીએસટી વિભાગે ૬ ગાડીઓ અને ૪૨ લાખ પાન મસાલાના પાઉચ કબજે કર્યા હતા. વાહનોની ચકાસણી કરતા માલસામાન બિનહિસાબી જણાયો હતો.