Ahmedabad,તા.૭
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ ૩૮ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.