નાણાં ગુમાવનાર અરજદારોએ પોલીસ કમિશ્નરથી માંડી ગૃહમંત્રી, ડીજીપીને લેખિત અરજી કરી
Rajkot,તા,18
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અંદાજિત 8 હજારથી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણું વળતર આપવાની લાલચે અંદાજિત રૂ. 350 કરોડ પચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે નાણાં ગુમાવનાર અરજદારોએ રાજકોટ પોલીસ કમિશ્નરથી માંડી ડીજીપી અને ગૃહમંત્રીને પાંચ કૌભાંડીઓ વિરુદ્ધ લેખિત અરજી કરી ન્યાય અપાવવા ગુહાર લગાવવામાં આવી છે.
સમગ્ર કૌભાંડની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના કોઠારીયા વિસ્તારના શક્તિ સોસાયટીમાં રહેતા અને સાબુ-કપડાં ધોવાના પાવડરની એજન્સી ધરાવતા વેપારી મોહસીન રસીદભાઈ મુલતાનીએ કરેલી અરજીમાં બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ દિલાવર મુલતાની(રહે. અંકલેશ્વર, ભરૂચ), ભાગીદાર નીતિન જગત્યાની, સૌરાષ્ટ્ર હેડ અમિત મુલતાની( લીંબડી), માર્કેટીંગ હેડ અઝરૂદ્દીન સતારભાઈ મુલતાની અને ગુજરાત હેડ મકસુદ સૈયદનું નામ આપ્યું છે. નાણાં ગુમાવનાર વેપારી મોહસીન મુલતાનીના જણાવ્યા અનુસાર તેઓ હોલસેલ સાબુ-કપડાં ધોવાના પાવડરની એજન્સી ધરાવે છે.
કૌભાંડની વિગતો અનુસાર જૂન, 2022માં અમિત મનુભાઈ મુલતાની રાજકોટ આવેલ ત્યારે જણાવ્યું હતું કે, પોતે બ્લોક ઓરા કંપનીનો સૌરાષ્ટ્ર હેડ છે. આ કંપની દ્વારા ટી બેક નામની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સ્કીમ જણાવી હતી. જે સ્કીમ મુજબ રોકાણ કરવાથી ખુબ ઉંચું વળતર મળશે તેમ કહી મુંબઈની સહારા હોટેલમાં યોજાયેલી મિટિંગના વિડીયો બતાવ્યા હતા.
બાદમાં લીંબડી ખાતે મુલતાની પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં અમિત મુલતાનીએ ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાનીને બોલાવ્યા હતા. જ્યાં મને આ બંને શખ્સોં સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે મારા મિત્રો સાહીલભાઈ મુલતાની, રહીમ જામ, જાવેદ મુલતાની પણ હાજર હતા. આ સમયે ફિરોઝ મુલતાનીએ અમને સ્કીમ વિશે જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ એક આઇડી ખોલાવી તેમાં રૂ. 4.25 લાખનું રોકડ રોકાણ કરવાથી રોજ એક ટકો વળતર પેટે મળશે એટલે કે 400 દિવસમાં ત્રણ ગણા વળતર રૂપે રૂ. 12.75 લાખ મળશે. ઉપરાંત ટી બેક કોઈન લોન્ચ થયો ત્યારથી રોકાણકારોને કેટલું વળતર મળ્યું તે તમે ‘બ્લોકઓરા.કોમ’ વેબસાઈટના બતાવેલું હતું.
રાજકોટ અને સૌરાષ્ટ્રની અનેક મોટી હોટેલમાં કોન્ફરન્સ કરીને અનેક લોકોને ફસાવવામાં આવ્યા હતા. જે બાદ ફરીવાર અરજદારે નાણાં વિડ્રોલ કરવા અંગે પૂછતાં હમણાં સિસ્ટમમાં એરર છે જેથી થોડા દિવસમાં વધુ વળતર સાથે પૈસા પરત આપી દેશું તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ વારંવાર નાણાં વિડ્રોલ કરવા અંગે પૂછતાં ફક્ત બહાના બતાવવામાં આવતા હોય અંતે અરજદારે કોઈનમાર્કેટ વેબસાઈટ પર તપાસ કરતા આવી કોઈ જ કરન્સીનું લિસ્ટિંગ નહિ થયાનું જાણવા મળતા પોતે આ સ્કીમમાં છેતરાઈ ગયાંનું જાણવા મળ્યું હતું. જે બાદ અરજદાર ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાંનીનો સંપર્ક કરવા સુરત પહોંચતા તેઓ હવે મુંબઈ રહેવા ચાલ્યા ગયાંનું જાણવા મળ્યું હતું.
રાજકોટ, જસદણ, લીમડી સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના રોકાણકારોનો સંપર્ક થતાં જાણવા મળ્યું હતું કે, હાલ સુધી કોઈને પણ એકપણ રૂપિયો નહિ ચૂકવી અબજો રૂપિયાનું કૌભાંડ આચરી લીધાનું ફલિત થયું હતું.