ભુવાની સલાહથી કુળવધૂને પીયર મોકલી આપનાર પતિએ દર મહિને રૂા. ૭ હજાર ચૂકવવા હુકમ
Rajkot,તા.17
ભુવાની સલાહથી કુળવધૂને પીયર મોકલી આપનાર પતિ સામે પરિણીતાએ કરેલી ભરણ પોષણની અરજીમાં વચગાળાનાં ભરણ પોષણની માંગણી અદાલતે મંજુર રાખી કેસ ચાલે ત્યાં સુધી માસીક રૂા. ૭ હજાર વચગાળાનું ભરણપોષણ ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ કુળવધૂ રીમાબેન કૃણાલભાઈ કાપડીયાએ જણાવ્યા મુજબ, તેમના સાસરીયાઓએ લોધીકા તાલુકાનાં પારડી ગામનાં ભુવ ધીરૂભાઈ મગનભાઈ ધરસુડીયા (પટેલ) પાસે દાણા જોવડાવ્યા હતા, જેમાં સાસરીયાઓને કહેલ કે ‘પુત્રવધુને પીયર મોકલો, નહીંતર પરિવારમાં મોત થશે, અને દાણાં જોવામાં સંસાર આગળ ચાલે તેમ નથી’ તેવું અરજદારનાં સાસરીયાઓનાં મગજમાં ઠસાવી દેતા અરજદારનો તેમના પતિએ ત્યાગ કરીને પિયર મોકલી દીધેલ, તેથી અરજદારે લગ્ન સંસાર ચલાવવા તેડી જવા અંગેની નોટીસ તેમનાં પતિને આપી હતી. પરંતુ અરજદારનાં પતિએ બધો દોષ અરજદાર ઉપર નાખેલ અને અરજદારને તેડી ગયેલ નહીં, તેથી નાછુટકે અરજદાર પરિણીતાએ તેમના પતિ કૃણાલભાઈ કાપડીયા વિરૂધ્ધ રાજકોટની ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા અરજી કરેલી અને તે અરજીનાં કામે વચગાળાનાં ભરણપોષણ મેળવવા માટે અરજી કરી હતી. જેમાં અરજદારના વકીલોની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ ફેમિલી કોર્ટ દ્વારા અરજદાર પરિણીતાને કેસ ચાલતા સુધી વચગાળાનું માસીક રૂા. ૭ હજાર અરજીની તારીખથી ચુકવવાનો પતિ સામે હુકમ કર્યો છે. આ કામે ફરીયાદી તરફે વકીલ તરીકે કેતન એન. સિંધવા તથા પંકજ આર. દોંગા રોકાયા હતા.