Rajkot તા.01
રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની છે. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક બલી દ્વારા ત્રણ મિત્રો પર પોતાની ઇનોવા કાર ચડાવવાનો પ્રયાસ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે l બે યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારની ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો હતો. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટ લોહિયાળ બની હતી. જેમાં કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા નામના યુવાન સાથે રાજકોટના બલીસ પંજાબી ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિક સરવૈયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટાફને થતા ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આરોપી અમનદીપ ઉર્ફે બલી હત્યાને અંજામ આપી નાસી છૂટ્યો છે. જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મરણ જનાર અને તેના મિત્રને ફટાકડાં ફોડવા બાબતે આરોપી સાથે ઝઘડો થયેલ અને તુરંત સમાધાન થઈ ગયું હતું. પરંતુ તેના અડધા કલાક પછી મરણ જનાર જ્યાં ફટાકડાં ફોડતા હતા ત્યાં આરોપી અમનદીપ ઉર્ફે બલી પોતાની ઇનોવા કાર લઈને આવેલ અને મરણ જનાર યુવક તેમજ સાહેદો પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી બાદ છરી વડે ઈજા કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.