દંપતી વચ્ચે તકરાર થતાં પત્નીને તરછોડતા ખાધા ખોરાકી માટે દાદ માંગી હતી
Rajkot,તા.૧૮
રાજકોટ ફેમિલી કોર્ટે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ મુજબના પરિણીતાના ભરણ પોષણના દાવામાં પતિએ પત્નીને વચગાળામાં ૧૫ હજાર ભરણ પોષણ અરજીની તારીખથી ચુકવવાનો આદેશ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, હાલ રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારના પંચાયતનગરમાં રહેતી પરિણીતા પુજાબહેને અરજીમાં જણાવ્યા મુજબ તેના લગ્ન સને ૨૦૧૭ની સાલમાં અમદાવાદ મુકામે રહેતા વિશાલ અમૃતલાલ શાહ સાથે થયા બાદ સાસરે પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં હતા. તેમાં પતિ અવારનવાર દારૂ પી અને પરિણીતાને ત્રાસ આપી તરછોડી દીધી હતી. તેથી તેની પાસે આવકનું કોઈ સાધન ન હોઈ, તેણે રાજકોટની ફેમિલી કોર્ટમાં પતિ પાસેથી હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ મુજબ પોતાના ભરણ પોષણની માંગ કરતી દાવા અરજી તા. ૨૮- ૩- ૨૩ના રોજ દાખલ કરી હતી. અને આ અરજીના કામે સાથે કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળામાં પણ ભરણ પોષણની માંગ કરતી અરજી પણ દાખલ કરી હતી.એમાં વચગાળાના ભરણ પોષણની અરજી દલીલ પર આવતાં પરિણીતાના વકીલ સંદીપ અંતાણીએ પતિને પુરતી આવક હોઈ, પતિ ભરણ પોષણ ચુકવવા જવાબદાર બનતો હોવાની રજુઆત કોર્ટમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કાયદામાં વચગાળામાં ભરણ પોષણ આપવાની કોઈ જોગવાઇ આપવામાં આવેલ નથી. પરંતુ ઉપરની અદાલતનું જજમેંનટ રજુ કર્યું હતું.
જે ધ્યાને લઈ રાજકોટની ફેમિલી કોર્ટે કેસ ચાલે તે સમય દરમ્યાન પરિણીતાને માસિક ૧૫ હજાર વચગાળામાં ભરણ પોષણ ચુકવવાનો અરજીની દાખલ તારીખથી એટલે કે તારીખ ૨૮- ૩- ૨૩થી પતિએ ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવ્યો હતો. જે હુકમ મુજબ પરિણીતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂ. ૨.૭૦ લાખ ભરણ પોષણના વસુલવા હકકદાર બનેલ છે. હવે કેસના આખરી નિકાલ સુધી પતિએ દર મહીને વચગાળાની ભરણ પોષણની ૨કમ રૂ. ૧૫ હજાર ચુકવવાના રહેશે. આ કેસમાં પરિણીતા વતી લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી, ઋષિકેશ શુકલ, સમીમબેન એમ. કુરેશી, શિવાનીબેન દવે રોકાયા છે.