મીઠાઈના ધંધામાં જમીન ઉપર વ્યાજે લીધેલા 20 લાખ ચૂકવી દીધા છતાં દસ્તાવેજ નહીં કરી દેતા લેણદાર સામે મનીલેન્ડ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી
Rajkot,તા,૨૫
રાજકોટમાં મીઠાઈના ધંધામાં જરૂર પડતા ખેતીની જમીન ઉપર વ્યાજે લીધેલા 20 લાખની ધાકધમકીથી ઉઘરાણી કરતા રકમ ચૂકવી દીધા છતાં જમીનના દસ્તાવેજ પરત નહીં કરતા લેણદાર સામે મનીલેન્ડ એક્ટ હેઠળની ફરિયાદમાંથી આરોપીની ડિસ્ચાર્જ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ, મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે જમના પાર્ક શેરી નં. ૮માં રહેતા મીઠાઈના ધંધાર્થી પંકજ બચુભાઈ પાંભરે મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ ભોળાભાઈ વેકરીયા સામે બી-ડીવીઝન પોલીસમાં વ્યાજની ફરિયાદ નોંધાવી હતી. તેમાં પંકજ પાંભર ધંધા માટે મહેન્દ્ર વેકરીયા પાસેથી ₹20 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા અને ગુંદા ગામની જમીનનો દસ્તાવેજ મહેન્દ્ર વેકરીયાના નામનો કરી આપ્યો હતો, બાદ કોરોનાને કારણે ધંધો ઠપ થવાથી વ્યાજ કે મુદલ ભરી શકયા ન હતા, તેથી મહેન્દ્ર વેકરીયા ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા નાણાની સગવડ કરી પંકજ પાંભરે નાણા લઈને મહેન્દ્ર વેકરીયા પાસે જઇ દસ્તાવેજ રદ કરી આપવા જણાવતાં મહેન્દ્ર વેકરીયા એ પંકજ પાંભરને કહેલ કે, મારે પૈસા જોતા નથી અને જમીન પણ ભુલી જાજો અને જો ફોન કર્યો તો જાનથી મારી નાખીશ. પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ થતાં અદાલત દ્વારા ગુનાનો કોગ્નીજન્સ લઈ આરોપી સામે કેસ શરૂ કરવા મુદત મુકરર કરેલી. આરોપી મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ વેકરીયાએ ગુનામાંથી છોડી મુકવા ડિસ્ચાર્જ અરજી કરી હતી, આ ડિસ્ચાર્જ અરજીમાં જણાવેલ કે, ગુંદાની જમીનનો વેચાણ દસ્તાવેજ થયેલ છે તે વેચાણ
દસ્તાવેજ રદ કરવા 2019માં દાવો કરવામાં આવ્યો હતો. ફરીયાદીનો દાવો પણ સિવિલ અદાલતે રદ કરેલ અને સિવિલ અદાલતે આ વેચાણ દસ્તાવેજને માન્ય ઠરાવ્યા હતા. આથી મહેન્દ્ર વેકરીયાએ કરેલી ડિસ્ચાર્જ અરજી નીચેની ફોજદારી અદાલતે કોઈ પણ જાતના કારણો આપ્યા સિવાય રદ કરી હતી, સદરહું ચુકાદા સામે મહેન્દ્ર વેકરીયાએ સેશન્સ અદાલત સમક્ષ રીવીઝન અરજી દાખલ કરેલી. જે રીવીઝન અરજીમાં આરોપી તરફે રજૂઆત કરતાં ધારાશાસ્ત્રી અર્જુનભાઈ એસ. પટેલએ સેશન્સ કોર્ટને જણાવેલું કે એફ.આઈ.આર. ૨૦૨૩માં કરવામાં આવેલી છે, જયારે વિવાદવાળો વેચાણ દસ્તાવેજ વર્ષ : ૨૦૧૬માં થયો છે. સિવિલ અદાલતે આ વેચાણ વ્યવહારને માન્યતા આપેલી છે ત્યારે પોલીસ સત્તાવાળાએ ફરીયાદ દાખલ કરવાની ન હતી. આઈ.પી.સી. કલમ-૫૦૬(૨)ના તત્ત્વો ફરીયાદ અને સાહેદોના નિવેદનો ધ્યાને લેતાં તેમાં કોઈ તારીખ કે સ્થળ કે સમય જણાવવામાં આવેલો નથી. તેજસિંહ વિ. સ્ટેટ ઓફ હરીયાણાના ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંત દર્શાવી અદાલતનું ધ્યાન દોરેલ કે, હાલની ફરીયાદમાં ખુનની ધમકીના કોઈ તત્વો ફલીત થતાં નથી. તેમજ સિવિલ તકરારને ક્રિમિનલ સ્વરૂપ આપવામાં આવે તે સંદર્ભમાં સચિન ગર્ગ વિ. સ્ટેટ ઓફ યુ.પી.૨૦૨૪ (એસસીસી ઓનલાઈન) (સુ.કો.-૮૨) માં પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંત ઉપર આધાર રાખી રિવિઝન મંજુર કરવાની રજૂઆતો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ખોટો અને ભુલ ભરેલો ઠરાવી આરોપી મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ ભોળાભાઈ વેકરીયાને આ ગુનામાંથી ડિસ્ચાર્જ કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી તથા ભાર્ગવ એ. પાનસુરીયા રોકાયા હતા.