બેઠક પૂર્વે તમામ આગેવાનોએ પ્રધાનમંત્રી મોદીની મન કી બાતનો કાર્યક્રમ સાથે ભાજપ કાર્યકર્તાઓએ નિહાળ્યો હતો.
Rajkot, તા.૨૭
આજે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સક્રિય સદસ્યતા સમિતિના પ્રદેશ સહ સંયોજક ભરત પંડયાની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ જીલ્લાના પ્રભારી, સંયોજક, સહસંયોજક સહયોગની બેઠક મળી હતી. આ બેઠકમાં સૌથી પહેલા આજરોજ પ્રસારિત થતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ મન કી બાત નિહાળ્યો હતો. ત્યારબાદ આ બેઠકમાં સક્રિય સદસ્યતા અંગેના જીલ્લાવાર રીપોર્ટીંગ લેવામાં આવ્યું હતુ. આ તકે ભરત પંડયાએ જણાવ્યું હતુ કે સક્રિય સભ્ય બનવા અંગેની પાત્રતા માટે ૧૦૦ પ્રાથમિક સભ્ય બનાવનાર કાર્યકર્તાને રૂા.૧૦૦ ડોનેશન ઓનલાઈ ભરી પહોંચ ડાઉનલોડ કરવાની સાથે રૂા.૨૦૦ રોકડા મનોગતના લવાજમના આપવાના હોય છે. આ વખતે સક્રિય સદસ્યતાના ફોર્મમાં અનેક વિગત આપવામાં આવી છે. જેમાં કાર્યકર્તાઓના અભ્યાસ, વ્યવસાય, સામાજીક પ્રવૃતિ, રાજકીય જવાબદારીઓ, રસ રુચિના વિષયો, સહકારી પ્રવૃતિ અને એન.જી.ઓ. અને સોશિયલ મીડીયાની પણ વિગતો માંગેલ છે. આ બધી માહિતીનો જે તે કાર્યકર્તાઓની કાર્યક્ષમતા પ્રમાણે ઉપયોગ થઈ શકે તે માટે ભાજપ દ્વારા એક ડેટાબેન્ક તૈયાર કરવામાં આવશે.
સક્રિય સદસ્યતા અભિયાનના પ્રદેશ સહસંયોજક ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતુ કે આ વખતે સક્રિય ફોર્મને ભર્યા પછી તેઓને રીસીપ્ટ આપવામાં આવશે. આ રીસીપ્ટમાં ભાજપ અને કાર્યકર્તા વચ્ચે સેતુરૂપ ભાજપની અષ્ટપદી જેવી આઠ પ્રતિજ્ઞાઓ છપાયેલ આપવામાં આવશે.
આ પ્રતિજ્ઞા દ્વારા ભાજપમાં સક્રિય તરીકે જોડાયેલ કાર્યકર્તાઓનુ વિચાર-ઘડતર અને કાર્ય પ્રણાલીનુ માર્ગદર્શન મળતુ રહેશે. તેમ સક્રિય સદસ્યતા સમીક્ષા સમિતિના પ્રદેશ સહસંયોજક ભરત પંડયાએ જણાવ્યું હતુ. આ બેઠકમાં સીનીયર આગેવાનો અમોહશ શાહ, પ્રકાશ સોની, ભાનુ મહેતા, નાગદાન ચાવડા, સુરેશ ગોધાણી, લાલજી સોલંકી, દિલીપસિંહ ચુડાસમા, રાજુ ધારૈયા, કથીરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.