Rajkot,તા.20
જામનગરની પટેલ કોલોનીમાં આવેલા કોપર એનેકસી પ્રોજેકટમાં બિલ્ડર દ્વારા નિયમભંગ કરવામાં આવ્યાની ફરિયાદમાં ‘રેરા’ દ્વારા બે મુદ્દામાં પાંચ-પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય બે મુદ્દામાં બિલ્ડરની દલીલો માન્ય રાખીને તે વિશેની ફરિયાદ રદ કરી છે. આ પ્રકરણમાં ફરિયાદ અંશત: મંજુર કરવામાં આવી હતી.
આ પ્રકરણની વિગતો મુજબ જામનગરની પટેલ કોલોનીમાં આવેલા કોપર એનેકસી પ્રોજેકટમાં ફલેટ-ઓફિસની માલિકી ધરાવતા નરેન્દ્રસિંહ મનુભા ઝાલા, સુરેશ ચીમનલાલ વસા તથા ભરતકુમાર જેઠાલાલ દેસાણી દ્વારા બિલ્ડર રાજકોટના એસ.ટી.બિલ્ડકોન પ્રા.લી. તથા જામનગરના સોની શીપીંગ એલએલપી વિરુદ્ધ રેરામાં નિયમભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રેરાના સભ્ય ડો. એમ.ડી. મોડિયા સમક્ષ રેરાની સુનાવણી થઈ હતી અને ત્યારબાદ રેરા દ્વારા ફરિયાદ અંશત: મંજુર કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ કેસની ફરિયાદમાં જુદા-જુદા ચાર નિયમભંગની દલીલ કરવામાં આવી હતી તેમાંથી બે સ્વીકારવામાં આવી હતી અને બે ફગાવી દેવામાં આવી હતી. ફરિયાદના પ્રથમ મુદ્દામાં બિલ્ડર દ્વારા રેરામાં નોંધણી નહીં કરાવાયાની દલીલ કરવામાં આવી હતી.
બિલ્ડરે રેરા કાયદો અમલી બનતા પુર્વે જ પ્રોજેકટ પુર્ણ થઈ ગયાનો બચાવ કર્યો હતો. પરંતુ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને ‘રેરા’એ આ બચાવને ફગાવ્યો હતો અને કાયદાની કલમ 3 તથા 59(2)નો ભંગ ગણીને પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
બીજો મુદો વિકાસ પરવાનગીનો છે. રેરા સમક્ષ બિલ્ડરે કાયદો અમલી બન્યા પુર્વે જ પરવાનગી લીધી હોવાથી નિયમ મુજબ ન હોવાનો બચાવ રજુ કર્યો હતો જે માન્ય રાખીને ફરિયાદનો આ મુદ્દો ફગાવી દીધો હતો.
ત્રીજો મુદ્દો ધાબા ઉપર યુનિટ બનાવી દેવાનો હતો અને તેને કારણે અન્ય ફરિયાદીઓના ધાબા પરના અધિકારોમાં વિક્ષેપ થયાની દલીલ હતી. ઈમ્પેકટ ફી ભરીને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાયાની બિલ્ડરની દલીલ માન્ય રાખીને આ મુદ્દાની ફરિયાદ રદ કરતો ચુકાદો રેરાએ આપ્યો હતો.
ફરિયાદનો ચોથો મુદો વપરાશની પરવાનગીનો હતો. પ્રોજેકટ પ્રમોટરે 14-9-2017 સુધીમાં બાંધકામ પુર્ણ કરી લીધાનો તથા 20-9-2017ના રોજ બાકીની વપરાશ પરવાનગી પણ મેળવી લીધાનો બચાવ કર્યો હતો.
પરંતુ દસ્તાવેજી પુરાવાના આધારે તે પુરવાર થતુ ન હોવાનો નિષ્કર્ષ દર્શાવીને ‘રેરા આથોરિટી’ દ્વારા કાયદાભંગ સાબીત ગણ્યો હતો અને પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ મુદામાં બિલ્ડર-પ્રમોટરે પ્રોજેકટની ‘ઓનગોઈંગ પ્રોજેકટ’ તરીકે ત્રણ માસની મર્યાદામાં રેરા સમક્ષ નોંધણી નહીં કરાવ્યાનું દર્શાવ્યું હતું. પાંચ લાખના દંડના હુકમનુ 30 દિવસમાં પાલન કરવાનો આદેશ કરાયો હતો.