700 જેટલી બહેનો અને 30 જેટલાં ભાઈઓ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી અર્થે આવશે
Rajkot,તા.૧૭
ભાઈ-બહેનના પવિત્ર બંધનનું પ્રતીક એટલે કે રક્ષાસૂત્ર. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના કરે છે જયારે સામે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ભાઈ બહેનની રક્ષા માટે હાજર રહેશે તેવી આશા રાખતી હોય છે. ભાઈ – બહેનના પવિત્ર પર્વની ઉજવણી દેશ-વિદેશમાં કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે આ પર્વની જેલ ખાતે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. સોમવારે જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાશે. ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મધ્યસ્થ જેલમાં હાલ અંદાજિત 2100 જેટલાં કેદીઓ છે ત્યારે આ પૈકી 700 જેટલાં બંદીવાનોના ભાઈ અથવા બહેન જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે આવશે તેવી આશા છે. જેને ધ્યાને રાખીને વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બહેનો તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધવા માટે સવારે 8 વાગ્યાંથી જઈ શકશે.
આ ઉપરાંત રક્ષાબંધનની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા તમામ બહેનોને રક્ષાસૂત્ર તેમજ મીઠાઈ લઇ આવવાની છુટ આપવામાં આવશે. ઉપરાંત જેલની અંદર બનાવવામાં આવેલી મીઠાઈ (ખજૂરપાક અથવા મોહનથાળ)નું રાહત દરે વેચાણ પણ કરવામાં આવનાર છે જેના માટેનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવી લેવામાં આવ્યો છે. તેમજ રક્ષાબંધનની ઉજવણી માટે કંકુ, ચોખા, સુસોભીત થાળીની વ્યવસ્થા પણ જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે.