ફાઉન્ડેશન, જીએસટી, એનડીટી રિપોર્ટ ટીકીટના દરમાં વધારો તેમજ એસઓપી હળવી કરવા સહિતના પ્રશ્ર્નો ઉછળશે
RAJKOT તા.6
લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ સતત બીજી વખત હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ આજે સાંજના 4-30 કલાકે કલેકટર પ્રભવ જોશી દ્વારા રાઈડ્સ સંચાલકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી છે. જેમાં વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસો થશે.
લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ એસઓપી માન્ય ન હોવાનું જણાવી આકરા નિયમોમાં છુટછાટ આપવાની માંગણી દોહરાવી ઉપરાઉપરી બે વખત હરરાજીનો બહિષ્કાર કરતા આ કોકડુ ગુચવાય જવા પામેલ છે.
રાઈડ્સ સંચાલકોએ રાઈડ્સની ટીકીટના દર વધારી રૂા.50 અને 70 કરવા માંગણી ઉઠાવી છે તેની સાથોસાથ બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ રાખવા દેવાની મંજૂરી આપવા ઉપરાંત એનડીટી રિપોર્ટ જીએસટી નંબર સહિતના નિયમોમાં છુટછાટ આપવા માંગણી ઉઠાવી છે.
પરંતુ રાઈડ્સ સંચાલકો અને ખાણી-પીણીના સ્ટોલના વેપારીઓની માંગણી પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા વેપારીઓ હરરાજીથી અળગા રહ્યા બાદ વિવાદનો ઉકેલ આવવા માટે આજે કલેકટર પ્રભવ જોશી દ્વારા રાઈડ્સ સંચાલકો અને ખાણી-પીરીના વેપારીઓને ખાસ તેડુ મોકલી બેઠક માટે આમંત્રીત કરાયા છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા આ રાઈડ્સ સંચાલકોની બેઠક સાથે પ્રાંત અધિકારી અને લોક મેળા સમિતિની બેઠક પણ યોજવામાં આવી છે.