કોઠારીયા ગામના 10 વર્ષીય તરુણનું ઝાડા ઉલ્ટીથી મોત : આરોગ્ય તંત્રમાં દોડધામ
Rajkot,, તા.૨૯
ઋતુજન્ય રોગોએ માથુ ઉચકયું છે ત્યારે ચાંદીપુરાએ રાજ્યભરમાં ભરડો લીધો છે.ચાંદીપૂરાના કહેરની સાથે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે શહેરમાં ત્રણ બાળકો તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો ભોગ બન્યા છે.શહેરના કોઠારીયા મેન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા 10 વર્ષના તરુણનું બે દિવસ ઝાડા ઉલ્ટી બાદ બેભાન થઈ ઢળી પડતાં મોત નિપજ્યું છે.જ્યારે રૈયાધારમાં એક વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટીથી મોત થતાં શોકનું મોજું ફરી વળ્યુ છે.બાળકી ચારેક મહિનાથી બિમાર હતી.પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે રહેતા અને 10 વર્ષના બાળકને બે દિવસ ઝાડા-ઊલટી રહ્યા બાદ તેનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.વધુ મળતી માહિતી મુજબ રણુજા મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતાં નેમિશભાઈ ધામેચાનો ધો.4માં અભ્યાસ કરતો પુત્ર પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઊલટી હોવાથી પાસેના ક્લિનિકમાંથી પરિવારે દવા લીધી હતી.અને ત્યાં તબીબે ઇન્જેકશન આપી સારવાર આપી હતી.જ્યારે ગઇકાલે તે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી પરિવારે 108ને જાણ કરતાં 108નો સ્ટાફ દોડી આવ્યો હતો. અને તપાસી બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.આ મામલે પીએમમાં તબીબે બાળકને હાર્ટ એટેક આવ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે.
જ્યારે અન્ય બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં રહેતાં ચમનભાઈ ડઢાણીયાની એક વર્ષની બાળકી કુસુમનું બીમારી સબબ મોત નિપજતાં ગમગીની છવાઇ ગઈ છે. બાળકી છેલ્લાં ચારેક માસથી બિમાર હતી અને થોડા દિવસથી ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા. જેની સારવાર શરૂ હતી. બાળકીએ થોડા દિવસ પૂર્વે સારવારમાં દમ તોડી દિધો હતો. તેઓ મૂળ મહેસાણાના વતની છે. માસૂમના મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ છે.