Rajkot,તા.૨૧
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માં આજે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ છે ‘‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ ’’. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રાપ્ત દિશા નિર્દેશો અનુસાર રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે ૦૬.૩૦ વાગ્યાથી લઈને ૦૭.૪૫ વાગ્યા સુધી યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકો શ્રી ગોપાલ શર્મા, શ્રી કિશોર રાઠોડ તથા તેમની ટીમનાં માર્ગદર્શન હેઠળ રેલ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને કોમન યોગા પ્રોટોકોલના અંતર્ગત આસન, પ્રાણાયામ તથા ધ્યાન સંબંધિત વિભિન્ન અભ્યાસોનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. આ અવસર પર રાજકોટ મંડળ રેલ પ્રબંધક શ્રી અશ્વની કુમારે પોતાના સંબોધનમાં કહ્યું કે ‘‘યોગ, પ્રાણાયામ અને ધ્યાનને પોતાના દૈનિક જીવનમાં અપનાવવા જોઈએ એટલું જ નહીં, પોતાના સ્વજનોને પણ આ માટે પ્રેરિત કરવા જોઈએ જેથી બધા લોકો શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહી શકે.’’ યોગ અભ્યાસના આ કાર્યક્રમમાં રાજકોટ મંડળના અપર મંડળ રેલ પ્રબંધક શ્રી કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી અમૃત સોલંકી, સહાયક કાર્મિક અધિકારી શ્રી કે. કે. દવે, વિભિન્ન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સુરક્ષા બળ, સ્કાઉટ, સીઆઈએસએફ રાજકોટની ટીમ તથા મોટી સંખ્યામાં રેલ કર્મચારી ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સંચાલન મુખ્ય કલ્યાણ નિરીક્ષક શ્રી શૈલેષ મકવાણા દ્વારા કરવામાં આવ્યું. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.