શેર બજારમાં 22% રિફંડની લાલચ આપી 53 લોકોને શિકાર બનાવ્યા’તા
Rajkot:,તા.૫
રેલનગરમાં રહેતા અને જામનગર રોડ પર નાયબ નિયામક જમીન દફતર સરવે ભવનમાં કોન્ટ્રાક્ટમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતા રાહુલભાઇ સંજયભાઇ વાઘેલા સહિતે 53 લોકોને રોકાણમાં સારું વળતર આપવાની લાલચે રૂ.1.77 કરોડની છેતરપિંડી કરી ગયાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો. જે કેસમાં પોલીસને માહિતીને આધારે ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાંચની ટીમે કર્ણાટકના હુબલીની હોટેલમાંથી આરોપી દંપતીને ઝડપી લઇ તેની ધરપકડ કરી તેની પાસેથી રોકડ કબજે કરવા પૂછપરછ હાથ ધરી છે.
રાહુલભાઇને તેના બનેવી મારફતે 150 ફૂટ રિંગ રોડ પર એંજલના નામે શેરબજારની ઓફિસમાં ધંધો કરતો મૂળ રાજસ્થાની આરોપી રાહુલ રણજિતભાઇ સોની અને તેની પત્ની અદિતિ સાથે પરિચય થયો હતો અને તેને રોકાણ પર માસિક 22 ટકા વળતર આપવાની વાત કરી હતી જેથી તેને પાંચ લાખનું રોકાણ કર્યું હતું અને તેમાં તેને પાંચેક માસ વળતર પણ આપ્યું હતું.બાદમાં દંપતીએ ફોન અને ઓફિસ બંધ કરી નાસી જતા તેને તપાસ કરતા તેના સહિત કુલ 53 લોકોના રૂ.1.77 કરોડની ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું હોવાનું જણાવતા ગાંધીગ્રામ પોલીસે તા.27-5-23ના રોજ ગુનો નોંધી આરોપી દંપતીને પકડી લેવા મથામણ કરી હતી.
દરમિયાન આરોપી રાહુલ અને તેની પત્ની અદિતિ કર્ણાટકના હુબલીમાં એક હોટેલમાં છુપાયા હોવાની માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામના પીએસઆઇ હરિયાણી સહિતની ટીમે આરોપીને ઝડપી તેની ધરપકડ કરી દંપતીની પૂછતાછ કરતા તે અલગ-અલગ હોટેલમાં રહેતા હોવાનું જણાવતા પોલીસે શાતિર દિમાગ ચલાવતા આરોપી દંપતી પાસેથી રાકેડ કબજે કરવા કાર્યવાહી કરી હતી.