Rajkot, તા. 25
રાજકોટ મહાપાલિકાની ચાલુ વર્ષની નાણાકીય વર્ષની આવક આટલા વર્ષોમાં સૌપ્રથમ વખત 400 કરોડને પાર થઇ છે. આજે સીલીંગ અને રીકવરી ઝુંબેશ વચ્ચે વેરાની આવક 400 કરોડને વટાવી જવા સાથે કરદાતાઓની સંખ્યા પણ ગત વર્ષ કરતા 17 હજાર જેટલી વધતા મનપાના ચોપડે કાયમી કરદાતાની સંખ્યામાં પણ સુધારો થયો છે.
આજે ટેકસ વિભાગે જાહેર કરેલી વિગત મુજબ આજે બપોર સુધીમાં 69.95 લાખની આવક થતા વેરાની આવક 400.24 કરોડને આંબી છે. આ વર્ષે આજ બપોર સુધીમાં 412821 કરદાતાઓએ વેરો જમા કર્યો છે. ગત નાણાકીય વર્ષમાં કુલ કરદાતાની સંખ્યા 395454 હતી અને ટેકસની આવક 365.14 કરોડ થઇ હતી.
એટલે કે આટલા વર્ષોમાં પહેલી વખત કોર્પો.ની વેરાની આવક 400 કરોડ પર પહોંચી છે. હજુ નાણાકીય વર્ષના છ દિવસ બાકી હોય, વેરાનો 410 કરોડનો આવકનો અંદાજ સરળતાથી પાર પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ ઘણા સરકારી લેણાના ચેક હજુ આવવાના બાકી છે.
ગત વર્ષે 233930 કરદાતાએ ઓનલાઇન 175.91 કરોડનો વેરો ભર્યો હતો. આ વર્ષે સ્માર્ટ કરદાતાઓની સંખ્યા વધીને 266036 પર પહોંચી છે અને 201.29 કરોડનો વેરો ઓનલાઇન જમા થયો છે. તમામ વોર્ડ ઓફિસે ગત વર્ષે 1.15 લાખ નાગરિકે વેરો ભર્યો હતો અને આજ સુધીમાં આજે 1.03 લાખ નાગરિકો વોર્ડ ઓફિસે વેરો ભરી ચૂકયા છે.
ચાલુ વર્ષે વેરાની આવકમાં વધારો થયો છે. તો સાથે છ દિવસ બાદ 410 કરોડનો ટાર્ગેટ પૂરો થાય એટલે આવક રેકોર્ડથી પણ આગળ જવાની ધારણા છે. ડે.કમિશ્નર ચેતન નંદાણી અને તેમની ટીમે ચલાવેલી રીકવરી ઝુંબેશ સાર્થક બની છે. આસી. કમિશ્નર સમીર ધડુક અને અધિકારીઓએ માત્ર નાણાકીય વર્ષના અંતે નહીં પરંતુ પ્રારંભથી ચલાવેલી રીકવરી ઝુંબેશના પરિણામ પણ દેખાયા છે.
દરમ્યાન આજે વેરા શાખાએ વોર્ડ નં.7માં વી.પી. રોડ પર મારૂતિ કોમ્પ્લેક્ષમાં આવેલ ઓફિસ, બેડીનાકા રોડ પર ઓફિસ, રાજપૂતના અક્ષર ચેમ્બર અને બાજુમાં એક એક ઓફીસ સીલ કર્યા હતા. વોર્ડ નં.18ના કોઠારીયા રોડ સહિતના વિસ્તારમાં આજે રીકવરી થઇ હતી. આજના દિવસમાં 69.95 લાખની રીકવરી થઇ હતી. 31 માર્ચ સુધી રજા સહિતના દિવસોમાં વેરા શાખા કામ કરતી રહેશે તેવું અગાઉ જ જાહેર કરવામાં આવ્યું છે.
ટેકસ શાખાના મેનેજર વત્સલ પટેલ, સિધ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, નિલેશ કાનાણી, ગૌરવ ઠકકર, વોર્ડ ઓફિસર ઇન્સ. સહિતની ટીમ દ્વારા અન્ય વિભાગના સ્ટાફને પણ સાથે રાખીને આ રીકવરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.