New Delhi,તા.૧૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમએ પોસ્ટ પર લખ્યું, ’અયોધ્યામાં રામ લલ્લાની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ.’ સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલ આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે.
તમને જણાવી દઈએ કે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે એક વર્ષ પૂર્ણ થયા બાદ, અયોધ્યામાં ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન,વીવીઆઇપી દર્શન પર પ્રતિબંધ રહેશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ઉજવણીનો હેતુ ગયા વર્ષે ઐતિહાસિક સમારોહમાં હાજરી આપી ન શક્યા હોય તેવા સામાન્ય જનતા ઉપરાંત લગભગ ૧૧૦ આમંત્રિત વીઆઈપી લોકોને પણ સામેલ કરવાનો છે.
જોકે, ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન વીવીઆઇપી પાસ રદ રહેશે. આ ઉપરાંત દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ સમારોહ રામ જન્મભૂમિ સંકુલની અંદર વિવિધ સ્થળોએ થશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં લોક ગાયિકા માલિની અવસ્થી જેવા પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે. પ્લેબેક ગાયિકા અનુરાધા પૌડવાલ, કવિ કુમાર વિશ્વાસ અને અન્ય લોકો પણ હાજર રહેશે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસીય ઉજવણી દરમિયાન અનેક ધાર્મિક વિધિઓ તેમજ રામલીલાનું આયોજન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે કુબેર ટીલા ખાતે ભક્તોને સંબોધિત કરશે, ત્યારબાદ સંગીત અને ભક્તિ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરવામાં આવશે. ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન અયોધ્યાના વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના સંગીત જૂથો પણ કીર્તન રજૂ કરશે. દેશભરના સંતો, જેઓ અગાઉના અભિષેક સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા, તેમને વર્ષગાંઠ ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.