Rajkotતા.25
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટરે શહેર અને જિલ્લાની કરોડો રૂપિયાની કિંમતની કિંમતી જમીનો પર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા દબાણોને તાત્કાલીક હટાવી દેવા માટે મામલતદારોને આદેશ આપવામાં આવેલ છે. આ આદેશના પગલે છેલ્લા કેટલાક સમયથી શહેર અને જિલ્લામાં મામલતદારો દ્વારા દબાણો ઉપર ધડાધડ બુલડોઝરો ફેરવી દેવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
તાજેતરમાં જ રાજકોટ તાલુકા મામલતદાર અને પુર્વ મામલતદાર દ્વારા પણ કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો દબાણમુક્ત કરાવી હતી. દરમ્યાન આજરોજ રાજકોટ પશ્ચિમ મામલતદાર અજીત જોષી દ્વારા જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના અન્વયે રૈયામાં ખૂબ જ કિંમતી એવી અંદાજીત રૂપિયા 80 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવી હતી અને આ જમીન પર એકાદ વર્ષથી ખડકાઈ રહેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વધુમાં આ ડિમોલીશન અંગે પશ્ચિમ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોષી અને તેની ટીમે જિલ્લા કલેકટરના આદેશ મુજબ રૈયા સર્વે નંબર 318માં આવેલ અંદાજીત રૂા.80 કરોડની કિંમતની 16 હજાર ચો.મી. જેટલી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 30થી35 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સરકારી જમીનમાં છેલ્લા એકાદ વર્ષથી ગેરકાયદેસર કાચા-પાકા મકાનો અને ઝુંપડાના દબાણો ખડકાઈ ગયા હતા. અને આ દબાણકર્તાઓને અનેકવાર સ્વૈચ્છીક રીતે દબાણો હટાવી દેવા માટે નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણકર્તાઓએ દબાણો ન હટાવતા આજરોજ કલેકટરની સૂચના મુજબ પશ્ચિમ મામલતદારે દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું.