Morbi તા.23
મોરબીમાં સર્વે નંબર 602 વાળી જમીનના કૌભાંડની તપાસનો ધમધમાટ હાલમાં ચાલી રહ્યો છે તેવામાં રેવન્યુ વિજીલન્સની ટીમે મોરબીમાં ધામા નાખતા અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે અને અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ જ્યારે વિજીલન્સની ટીમ કલેકટર કચેરીએ પહોંચી હતી.
ત્યારે કેટલાક અધિકારીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા હતા અને અમુક અધિકારી પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા હતા જોકે જે 602 નું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં જુદા જુદા સમયે પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી કરેલા હુકમની તારીખ અને વચ્ચે પડેલી મુદતો ઉપર નજર કરવામાં આવે તો સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મીઠી નજર આ જમીન કૌભાંડમાં હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
ત્યારે જમીનના મૂળ માલિકે કરેલ અપીલના કેસમાં લાંબા સમય સુધી મુદત ન આપીને મુદત આપ્યાના બીજા જ દિવસે કલેક્ટરે પ્રાંત અધિકારીના હુકમને સ્ટે કર્યો હતો જેથી કરીને આ બાબત પણ હાલમાં રેવન્યુ વિભાગના અધિકારીઓ સહિતનાઓમાં ચર્ચાનો વિષય બનેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ કલેકટર દ્વારા જે નોંધને પ્રમાણિત કરવામાં આવી હતી.
ત્યારથી લઈને તેને સ્ટે કરવામાં આવી ત્યાં સુધીનો જે સમયગાળો હતો તે દરમિયાન તા 8/1/25 ના રોજ જમીનના મૂળ માલિકે કલેક્ટરમાં કરેલી અપીલને અવગણીને બોગસ આધાર પુરાવા આધારે જે મહિલા જમીનમાં વારસદાર બની હતી.
તે શાંતાબેન પરમાર દ્વારા સાગર ફૂલતરીયાના નામનો જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો એટલે કે જમીન કૌભાંડ કરનારાઓને પૂરતો સમય મળે તેવી ભૂમિકા ક્યાંક ને ક્યાંક અધિકારીની હોય તેવું પણ નકારી શકાય તેમ નથી અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનેલા વ્યક્તિ દ્વારા તા. 14/1/25 ના રોજ આ જમીન કૌભાંડ અંગેની મોરબી જિલ્લા પોલીસ વડા ને અરજી આપવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
અને તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટરના હુકમને સ્ટે કરવા માટે તા. 29/1/2025 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો ત્યાં સુધી જમીનના મૂળ માલિક પોતાની જ જમીન મેળવવા માટે થઈને હેરાન થઈ રહ્યા હતા. અને અંતે તા.15/325 ના રોજ કલેકટરે નયબ કલેકટરે પ્રમાણીત કરેલ નોંધને રદ કરેલ છે.
આમનો માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતમાં ગુંજતું જમીન કૌભાંડ એટલે કે મોરબીનું 602 જમીન કૌભાંડ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ છે અને તેવામાં રેવન્યુ વીજીલન્સની ટીમ દ્વારા ગઈકાલે મોરબીમાં ધામા નાખવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરીમાં બંધ બારણે પૂછપરછ પણ કરવામાં આવી હોય તેવું પણ અધિકારી સૂત્રોમાં ચર્ચા રહ્યુ છે.
વધુમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જ્યારે રેવન્યુ વિભાગની વિજિલન્સ ટીમ મોરબી કલેકટર કચેરીએ પહોંચી હતી ત્યારે કલેકટર કચેરીમાં ફરજ બજાવતા અમુક અધિકારીઓના મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયા હતા ! અને કેટલાક ઓફિસમાં હાજર હતા ત્યાંથી જતા રહ્યા હતા ! આમ આ ચકચારી જમીન કૌભાંડ આગામી દિવસમાં કેટલાના તપેલા ચડાવે છે ?, તપાસના અંતે કોણ કોણ આરોપી થશે ? અને કોની સામે કેવા એક્શન લેવા છે ? તેના ઉપર મોરબીના લોકોની હાલમાં નજર મંડાયેલ છે અને આ જમીન કૌભાંડની તપાસમાં આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક જીલ્લામાં થયેલ બોગસ ખેડૂત કાંડ નો પણ પર્દાફાશ થાય તેવા સંકેતો મળી રહ્યા છે જોકે અધિકારીઓ દ્વારા ક્યાં સુધી જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને છાવરવા માટેના પ્રયાસો કરવામાં આવશે તે હાલમાં કહેવુ મુશકેલ છે.