Adelaide,તા.10
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર ઈચ્છે છે કે, કેપ્ટન રોહિત શર્મા ફરીથી ઈનિંગ્સની શરૂઆત કરે જેથી તે આક્રમક અને અસરકારક બની શકે.
શાસ્ત્રીએ કહ્યું, ’આ કારણે હું તેને ટોચ પર જોવા માંગુ છું. ઓપનિંગમાં તે આક્રમક બની શકે છે. જો કે, તેની બોડી લેંગ્વેજ જોઈને લાગતું હતું કે તે થોડો વધુ શાંત હતો. હકીકત એ છે કે તેણે રન બનાવ્યાં ન હતાં. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મને નથી લાગતું કે તે મેદાન પર બહુ સક્રિય હતો. હું માત્ર તેને મેચને લઈને વધુ વ્યસ્ત અને વધુ ઉત્સાહિત જોવા માંગતો હતો.
રાહુલે પણ રન બનાવ્યાં ન હતાં
પૂર્વ ક્રિકેટર ગાવસ્કરે કહ્યું, ’રોહિતે તેનાં નિયમિત સ્થાન પર પાછાં ફરવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે રાહુલે શા માટે ઈનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે આવું એટલાં માટે કર્યું કારણ કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ ન હતો.
ગાવસ્કરે કહ્યું કે, હું સમજી શકું છું કે શા માટે તેને બીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રાખવામાં આવ્યો હતો, તેણે જયસ્વાલ સાથે 200 રનની ભાગીદારી કરી હતી.
પરંતુ હવે જ્યારે તે આ ટેસ્ટમાં રન બનાવી શક્યો ન હતો, તો મને લાગે છે કે રાહુલે પાંચમાં કે છઠ્ઠા નંબર પર પાછાં જવું જોઈએ. જો રોહિત શરૂઆતમાં ઝડપી રન બનાવે છે તો પછી તે મોટી સદી પણ ફટકારી શકે છે.
રોહિતે પોતાને સાબિત કરવાની જરૂર નથી: કપિલ દેવ
પૂર્વ ક્રિકેટર કપિલ દેવે કહ્યું, ’રોહિતે પોતાને સાબિત કરવાની જરૂર નથી. તે ઘણાં વર્ષોથી આવું કરતો રહ્યો છે તેથી આપણે કોઈ પર શંકા ન કરવી જોઈએ. કપિલ દેવે કહ્યું કે મને આશા છે કે તે ફરીથી ફોર્મમાં આવશે. તેની ક્ષમતા અને પ્રતિભાને જાણતાં હું કહી શકું છું કે તે કમબેક કરશે.